Saturday, July 9, 2011

મારું લેખન-વાહ વાહીમાંથી વ્યવસાય સુધી


લખવાનું મન મને છેક હાઇસ્કૂલમાં હતો ત્યારથી  એને કારણે આપણી વાહ વાહ થાયતે વિચારે થયેલું. જોડકણાં .મુક્તકો, કલાપીશાઇ રૂદનકાવ્યો . જોયેલું ને જાણેલું એ બધુ લખાતું.  એનો એક નમૂનો- એક શેરીમિત્ર ‘વજકા’ના અવસાનને કારણે- અરર મિત્ર તું પાર થૈ ગયો, જીવનરેતમાં હું રહી ગયો

પણ વાર્તાલેખન તો મેં મારા કૉલેજકાળથી જ શરુ કરેલું, એટલે કે 1955 થી 1959નો ગાળો. પરંતુ એ પણ વાહવાહી મેળવવાને માટે  જ. સમયની એટલી બધી મોકળાશ હતી કે કોલેજની કોઇ લેખન સ્પર્ધા હોય તો તેની અંતીમ તારીખ પહેલાં જ લખવાનું લખાઇ જતું,એમાં મુડ,પરિસ્થીતી,વાતાવરણ જેવા પરિબળોના પૃથક્કરણને સ્થાન નહોતું. ઇનામની મામુલી રકમ પણ નહિં, માત્ર નામ છપાવવાની અભિલાષા એ જ સૌથી મોટું પરિબળ.

પણ્ લખવાનો ઉન્મેષ સૌથી વધુ 1960 થી 1968ની સાલ દરમ્યાન રહ્યો હતો. એ દરમ્યાન હું પહેલા ભાવનગર અને પછી રાજકોટમાં હતો. વાર્તાસ્પર્ધાઓમાં ઘણા ઇનામો મળ્યા. ચાંદની-આરામ-નવચેતન જેવા માસિકોમાં લખતા રહેવાથી નવોદિતોમાં જરી નામ થયું. આ બધી વસ્તુઓએ મારી લખતા રહેવાની મનઃસ્થિતી બનાવી આપી.હું લખતો રહેતો. ઓડીટર તરીકેની નોકરીએ મને અનેક ગામ ફરવાની અને દિવસો લગી ત્યાં મુકામ કરવાની તક આપી એને કારણે નાનાભાઇ જેબલિયા, રતિલાલ બોરીસાગર.રમેશ પારેખ,અનિલ જોશી, હસમુખ રાવળ જેવા જુવાન મિત્રોની સોબત થઇ. મોહમ્મદ માંકડ અને મકરંદ દવે જેવા સિનિયરોની નજરમાં પણ જરા માન વધ્યું. એને કારણે પણ લખવાની ચાનક ચડતી. એવે વખતે પણ મુડ બુડની ચિંતા નહોતી. બીજા નવોદિતોની  સ્પર્ધા અને મોટાની શાબાશી એ જ ધક્કો મારનારું બળ. એક વાર મકરંદભાઇ મારી એક વાર્તા વાંચીને આખી રાત ઉંઘી નહોતા શક્યા એ વાતના પોરસે મને પોતાને  અનેક રાત્રીઓ સુધી ઉંઘવા નહોતો દીધો. એવું જ રસિક ઝવેરીના પ્રોત્સાહક પત્રથી થયું હતું. આ બધી વાતો  જ પ્રેરણા-મુડ–વાતાવરણની કારક બની જતી. પણ એક વાત ચોક્કસ હતી. વાર્તાઓ ઉપર જિવિકા તો હતી નહિં એટલે એકને એક વાર્તાને રાંકના ગોળની જેમ  દિવસો લગી હાથ પર લઇને ફર્યાકરવાનું બનતું.  .

મારે  મન વાર્તા નિંભાડાનું સર્જન હતું. એમ માનતો કે એની માટીને ગુંદતા, ચાકડે ચડાવતા, ઘડતા,ટીપતા,પાકતા અને ટકોરાબંધ થતાં દિવસો લાગે. એમ તરત લખીને તરત આપી દીધી હોય તો એ ઘડો ના હોય.પરપોટો હોય.       

પણ પછી એક બહુ સૂચક પ્રસંગ બન્યો... જ્યારે હું રાજકોટમાં હતો ત્યારે વાર્તાલેખન  તો એવા ગંભીર માનસિક અભિનિવેશમાં જ ચાલતું હતું .  એવા એ  દિવસોમાં મેં ઘણા દિવસ મનમાં ઘૂંટ્યા પછી એક વાર્તા નામે ‘મો’ લખી. અને  ‘સમર્પણ’ માટે હરીન્દ્ર દવેને મોકલી.પણ હજુ એમના સ્વિકાર-અસ્વિકારનો પત્ર આવે તે પહેલાં  તો ‘અંજલિ’ના સંપાદક હસમુખ રાવળ મારે ત્યાં આવી ચડ્યા અને વાતવાતમાં મારી પાસેથી એની કાર્બન કોપી વાંચવા લઇ ગયા. અને પછી તો  એમને એ એટલી બધી ગમી ગઇ કે મને પૂછ્યા વગર જ એમણે એને ‘અંજલિ’ના દિવાળી અંક માટે રાખી લીધી. અને ‘મોં’ નામ સાથે એક બાળકી અને એક સ્ત્રી-પુરુષના રેખાંકન સાથેના એના ટાઇટલ ચિત્ર અને બ્લૉક સુધ્ધાં બનાવડાવીને મને બતાવવા હોંશભેર મારે ત્યાં આવ્યા ત્યારે હરીન્દ્રભાઇનો એ વાર્તાના સ્વિકારનો પત્ર મારા  ટેબલ પર પડ્યો હતો.! હસમુખભાઇ ઘા ખાઇ ગયા.  હવે જો હરીન્દ્રભાઇ એ વાર્તા ‘સમર્પણ’માં લેવાના હોય તો હસમુખભાઇથી એ ‘અંજલિ’માં કેવી રીતે લઇ શકાય ? પણ છતાં  એ તો એ બાબતે અતિ આગ્રહી હતા. અંતે બહુ મથામણભરી ચર્ચાને  અંતે એવું નક્કિ કર્યું કે એ ટાઇટલ અને એમાં ચીતરેલા પાત્રો સાથે બંધબેસે તેવી એક નવી વાર્તા મારે હસમુખભાઇને તાબડતોબ લખી આપવી અને હરીન્દ્રભાઇને એક પત્ર લખીને મારી મોકલેલી વાર્તાનું માત્ર શિર્ષક ‘મોં’ને બદલે ‘લૂંટ’ રાખવાની વિનંતી કરવી. પણ ખરી સમસ્યા હવે હતી , હસમુખભાઇને મારે લખી આપવાની બીજી વાર્તાનું શું?  એ તો પલાંઠી મારીને બેઠા એ નવી વાર્તા લઇને જ જવા માગતા હતા કારણ કે ‘અંજલી’નો અંક મશીન પર ચડી ગયો હતો .અને એમાં હવે એક દિવસનો વિલંબ પણ પાલવે  તેવો નહોતો. છેવટે મૂડ-બુડની પરવા કર્યા વગર હું એમની જ સામે નવી વાર્તા લખવા બેસી ગયો, મારા દિમાગમાં  કોઇ પ્લોટ-કે કોઇ ઘટનાનો આછો પાતળો તંતુ પણ નહોતો. માત્ર સંધવાણીએ દોરેલું ચિત્ર અને એમાં ચીતરેલાં પાત્રોના રેખાંકનો મારી નજર સામે હતાં. ઘડીભર એનું ચિંતવન કર્યું પણ પછી  તો  એ પણ નજર સામેથી ક્યારે હટી ગયા તેની સરત ના  રહી. અને ખરેખર માત્ર  ચાર કલાકમાં એકી બેઠકે એક એવી  નવી વાર્તા લખી નાખી  કે જે  એમણે મને બતાવેલા ટાઇટલ ચિત્ર સાથે અદ્દલ બંધબેસે.

પણ આ વાતની ખરી ચમત્કૃતિ આ વિજળિક ઘટનાક્રમમાં નથી. એ તો એમાં છે કે મેં  સંજોગોના દબાણને વશ થઇને મેં રાતોરાત લખેલી વાર્તા એ વાર્તા  ‘મોં’ સમર્પણમાં છપાયેલી પેલી મૂળ વાર્તા ‘લૂંટ’ કરતા ઘણી બહેતર બની આવી.

આવી જ આકરી સ્થિતી 1977માં ફરી પેદા થઇ. હું વેરાવળમાં વિજયા બેંકનો મેનેજર તરીકે અતિ વ્યસ્ત હતો, એવે વખતે સુરતથી ગુજરાત મિત્રના દિવાળી અંક માટે નવી વાર્તા મંગાવતો પત્ર ભગવતીકુમાર શર્મા તરફથી આવ્યો. પણ સમય અને વૃત્તિ બન્નેના અભાવને લીધે લખવાનુ પાછું ઠેલતો ગયો. છેવટે એમનો ઉઘરાણીનો તાર આવ્યો . એ દિવસ શરદપૂર્ણિમાનો  હતો અને રાતે દરીયાકિનારે ખારવણોના ગરબા સાંભળવા જવાનો મારો કાર્યક્રમ હતો. પણ ભગવતીકુમારની આ તાકીદને લીધે એકલાં પત્નિને ત્યાં મોકલ્યાં. બારી બારણાં બંધ કરીને ચાંદની અને બહારના  અવાજને પણ રોકી દીધાં. પણ મગજ ખાલીખમ્મ હતું.  વાર્તાલાયક એવી કોઇ ઘટના કે સંવેદનાનો આછો પાતળો દોર પણ ક્યાંયથી  હાથમાં આવતો નહોતો, કંટાળીને કાગળ-પેન નીચે મૂક્યાં. અને આજે આવેલી ટપાલ કે જે એકથી વધુ વાર વંચાઇ ચુકી હતી તે ફરી હાથમાં લીધી. એમાં એક પત્ર મિત્ર રતિલાલ બોરીસાગરનો હતો. એમાં સવિતાબહેન રાણપુરાના અવસાનના સમાચાર હતા અને એક વિશેષ વાત એમાં એ લખી હતી કે પતિ ફરી પરણવા લાયક ઉમરનો હોય તો પત્નિને અગ્નિદાહ આપવા સ્મશાને ના જાય એવી  પરંપરાનો ભંગ કરીને દિલીપ રાણપુરા સ્મશાને ગયા હતા. કારણકે સવિતાબહેનને એ અવસાન પામેલાં માનવા તૈયાર જ નહોતા અને વળી કોઇ વાતે એ ફરી પરણવા પણ માગતા  નહોતા. દિવસે અનેક વાર આ પત્ર મેં વાંચ્યો હતો પણ એવા કોઇ ખાસ સ્પંદનો જાગ્યાં નહોતાં પણ આ વાર્તાતૂર ક્ષણે એમાંથી  ઝપ્પ કરતોકને એક દોર પકડી લીધો. અને તેમાંથી સર્જાઇ મારી એક યાદગાર અને મને ઘણી નામના અપાવનારી વાર્તા-ચંદ્રદાહ.( જેના ઉપર શિવકુમાર જોશી અતિ વરસી પડ્યા હતા)  જે આગળ જતાં અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનુવાદિત થઇ અને એ નામના મારા વાર્તાસંગ્રહને  ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ પણ મળ્યું. એની આખી ભીતરી સર્જનપ્રક્રિયા મેં મારા એ સંગ્રહમાં કેળવનમાં ચીસ શિર્ષક હેઠળ આલેખી છે.

પરંતુ એ  દિવસો પછી ફરી લેખનમાં મોટો ઝોલ પડી ગયો. હું સાહિત્યના કેટલાક પારખુઓની નજરમાં વસી ગયો હતો એ સાચું. એવા લોકોમાં મોહમ્મદ માંકડ. ગુલાબદાસ બ્રોકર, રસિક ઝવેરી, ભગવતીકુમાર શર્મા, હરીન્દ્ર દવે ,કુંદનિકા કાપડીઆ. કૃષ્ણવીર દિક્ષીત, વિનોદ ભટ્ટ, અશોક હર્ષ જેવા લોકો ખરા .પણ એ સિવાય બીજા સ્થાપિત જૂથોમાં મારી કોઇ ગણના નહોતી અને મને તમા પણ નહોતી. હું પણ અમદાવાદથી બહુ દૂર -સાવ અળગો- હતો .લખવાનું કોઇ વાતાવરણ નહોતું, તળપદી  બોલીમાં કહીએં તો લખ્યા વગર કાંઇ ‘અખંડીયારુ’ રહી જતું નહોતું. એ જ મનોદશા અને એ જ વાતાવરણ લઇને હું જૂનાગઢ આવ્યો.ત્યાં ય મારે નવી બ્રાંચ ખોલવાની  અને ચલાવવાની હતી. જો કે ત્યાંય મને  નિયમિત લખતો રાખે  એવું કોઇ વાતાવરણ નહોતું . જવાબદારીવાળી નોકરીમાંથી થોડોક સમય બચતો તે મોજમઝામાં વીતતો, થોડો વાચનમાં જતો. પરંતુ .મારે લખતા રહેવું જોઇએ અને તો જ સાહિત્ય જગતમાં ‘જીવતો’ રહીશ એવી સમજણ હતી પણ અહિં ‘જીવતા ‘રહેવાની તમન્ના જ કોને હતી ? મારું ક્ષેત્ર બેંકીંગ છે ,સાહિત્ય નહિં એવી સમજણ દ્રઢ્મૂળ થતી જતી હતી.

આની ઉપરથી એટલું ફલિત થાય છે કે સંજોગોના દબાણ વગર આવો (લખવાના મન વગરનો) લેખક લખતો નથી પણ દબાણથી ય જો લખે તો એની નિપજ મોળી હોય એવું કોઇ સમીકરણ નથી.ક્યારેક તો ઉલટાનું વધુ પક્વ ફળ હાથ લાગે છે.
***
પણ 1980માં મને જિંદગીભર સતત લખતા રહેવાના ધક્કા માર્યા કરે એવી એક વાત બની. અને તે ‘સંદેશ’માં નિયમીત કોલમ લખવાનું મોહમ્મદ માંકડનું મીઠું પણ છૂપા આદેશની કક્ષાનું નિમંત્રણ! ( એ પત્ર  પહેલી પોસ્ટમાં મેં મુક્યો છે).
આ એક ધક્કાએ મારી જિંદગીની નૌકાનો મોરો જ સમુળગો બદલી નાખ્યો. ધીરે એક કોલમ, પછી બીજી કોલમ પછી નવલકથા લખવાનું નિમંત્રણ, પહેલા ‘સંદેશ’માંથી પછી ‘ચિત્રલેખા’માંથી અને પછી બીજે ઘણે ઠેકાણે ! ધીરે ધીરે લખવાનું એટલું બધું વધતું ગયું કે જ્યારે વી.આર.એસ. કે પેન્શન જેવી કોઇ જ જોગવાઇ નહોતી ત્યારે લેખનના વધી ગયેલા ભારણને કારણે 1989માં મેં રાષ્ટ્રીયકૃત બેંકના  મેનેજર તરીકેની નોકરી છોડી દીધી, આજિવીકાની સંપૂર્ણ જવાબદારી  લેખન ઉપર નાખી દીધી
***
હવે જ્યારે એ વાતને પણ બાવીસ વર્ષ જેટલો ગાળો વીતી ગયો છે ત્યારે એમ કહી શકું કે હવે લખતા રહેવા માટેનું સૌથી પ્રબળ પરિબળ હોય તો તે વાહવાહીની ઝંખના કે મૂડ નથી. પણ  વ્યાવસાયિકતાનું ભારી અને સતત અને દબાણ જ છે. છાપાંઓની કટારો ઉપરાંત,બીજાં અનેક લખાણો. જીવનચરિત્રો અને જીવનલક્ષી સંપાદનો, સ્મૃતિગ્રંથો અને બીજા કોઇ સંપાદકોના લેખ માટેના નિમંત્રણો., અમુક તો સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધા પછી લખવાના લેખો ,રિવ્યુઝ,પ્રસ્તાવનાઓ અને આવકારો, પત્રોના પ્રત્યુત્તરો ! આ બધું હવે વ્યાવસાયિકતાના દાયરામાં આવી ગયું છે, એમાં શ્રમ બહુ પડે છે છતાં  તેમાંથી મળતી ‘મઝા’નો જરાય  લોપ થયો નથી. કારણ કે આ મનગમતો વ્યવસાય છે .નોકરી નથી, જે શોખમાંથી અને  સ્વયમની જે કાંઇ પ્રતિભા હશે તેમાંથી જન્મ્યો છે. જે દિવસના અઢાર અઢાર કલાક કામ માગે છે પણ એ ‘કામ’ છે, ઢસરડો નથી.તેથી તેની અસર સ્વાસ્થ્ય પર નથી પડતી કારણ કે તેમાં મારી જે કાંઇ સર્જકતા છે તે વ્યક્ત કરવાની મને તક મળે છે. ‘વીસમી સદી’ (વેબ સાઇટ અને પુસ્તિકા), રૂસ્વા મઝલૂમી( જીવનલક્ષી ગ્રંથ) જ્યુથિકા રૉય (જીવન ચરિત્રના અનુવાદનુ પરામર્શન અને અને વીડીઓ ડોક્યુમેંટ્રી) ‘મેઘદૂત’( સંપાદન અને ઓડીઓ સીડીનું સમગ્ર નિર્દેશન), અને ‘પ્રકૃતિ’( વેબ સાઇટ અને પુસ્તિકા સંપાદન)આ બધા માત્ર છેલ્લા પાંચ વર્ષમાં મારી પરિકલ્પના હેઠળ પાર પડેલા પ્રોજેક્ટ્સ  છે  અને એ દરેકે દરેકમાં મને તેજસ્વી લેખક  બીરેન કોઠારીનો સમાંતર સહયોગ મળ્યો છે. બે ઠેકાણે ધિમંત પુરોહીતનો અને એકાદ બેમાં વિપુલ આચાર્યનો   સાથ લીધો છે, એમ આખી એક ટીમ બની ગઇ  છે એટલે હવે મૂડ આવવાનો કે જવાનો કે વાતાવરણ પેદા થવાની રાહ જોવાના કોઇ લાડ પરવડે તેમ નથી.
***
મૂળભૂત રીતે હું સિનેમાપ્રેમી માણસ છું. અને એમાં મારી રૂખ ડાઇરેક્શન અને કેમેરાવર્ક ભણી છે. મારા હાથમાં (અને હસ્તરેખામાં)કેમેરા હોત તો હું ફિલ્મો ડાઇરેક્ટ કરતો હોત. એ તો નથી એટલે મારી એ અતૃપ્ત વાસના હું લેખનમાં પૂરી કરું છું. દ્રશ્યો આલેખવા નહિં, ખડા કરવા અને સંયોજવા  મને ગમે છે. ચં.ચી.મહેતા કે બીજા વિવેચકો અને વાચકોએ મારા લખાણોમાં જે ચિત્રાત્મકતા અને ફિલ્મતા જોઇ છે તેના મૂળ મારી આ રગમાં છે. એને સાહિત્યિક લક્ષણ કહેવાય કે ના કહેવાય તેની મને ખબર નથી. હું વ્યાખ્યાઓ પ્રમાણે ચાલી શકતો નથી.એવી જરૂર જ જોતો નથી.

9 comments:

  1. Tame 'Satya' kahyu....chhe...ae vachine...aanand thayo....kaik navu janyu......

    Aabhar!!!

    -Amrat chaudhary

    ReplyDelete
  2. Good sharing. A writer writes for many reasons, some compulsions and on one condition that, he will write till he himself likes what he writes and gets some 'vahvahi' for that. But we writers will always lament the non-existant condition that "we write only what we will love to write, and get paid for that." - Kiran Trivedi

    ReplyDelete
  3. પ્રિય શ્રીરજનીકુમાર પંડ્યાજી,
    હું તમારા સાહિત્ય નો ચાહક છું,તમારા અમુક પુસ્તકો
    મેં વાંચ્યા છે,મને તે ગમ્યા છે,તમારું સિનેમા સંગીતનું
    જ્ઞાન અને રસ ખરેખર દાદ માંગીલે તેવું છે.
    સાહિત્યના બધાં પાસાં પર તમે અદ્ભુત હાથ અજમાવ્યો છે.
    અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે તે 'કોતરાઈ'ગયું છે.
    તમને ચંદ્રકો કે 'ચાંદો'મળે કે ના મળે તેથી તમારું
    ગુજરાતી સાહિત્યનું યોગદાન ઓછું થતું નથી.
    બધાં જાણે છે તમારી પ્રતિભાને હવે પછીના વર્ષોમાં
    તમે લોકપ્રિય અને 'અછું'સાહિત્ય આપતા રહેશો.
    --પ્રભુલાલ ભારદિઆ,લન્ડન.યુ.કે.

    ReplyDelete
  4. Dear Rajnibhai,
    Agaau ek vaar aapna vishe bhai shri Harish Raghuvanshi marfate malel news vakhate anaayaas j me udgaar vyakt karyo hato k ketlaak manaso CHAMATKAR jeva hoy chhe, emaana Rajnikuma Padya ek chhe.. aapni autobigraphical kaifiyat vanchta mara udgaar fari vaar gokhaata jaay chhe.
    Regards
    Bhagyendra

    ReplyDelete
  5. Salil Dalal (Toronto)July 10, 2011 at 12:35 AM

    મઝા આવી વાંચવાની.... ક્યાંક મારી જ કથા પણ લાગી!!
    તમામ પ્રકારનું લેખન કરનારા પ્રાથમિક તબક્કે એવી જ મનોસ્થિતિમાંથી પસાર થતા હશે કે શું?

    ReplyDelete
  6. Respected pandyasaheb.I am so happy to see your blog.it will help us to connect with you.to read your post and give a comment-its possible now.! Really very very thank you.

    ReplyDelete
  7. વાહ... મજા આવી...

    ReplyDelete
  8. Dear Rajnikumar: July 20, 2011
    Namaste.
    I came to your Blog from this link:
    http://suryamorya.wordpress.com/2011/07/19/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%aa%ae%e0%aa%a4%e0%aa%be-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8b%e0%aa%97-%e0%aa%9c%e0%aa%97-3/

    I was inspired by your works while you were in Chicago to restart writing in Gujarati. Indeed, you are my guru for writing in Gujarati. Please visit my Blog:
    www.girishparikh.wordpress.com .

    My book ADILNA SHERONO ANAND (in Gujarati) will be published by Kaushik Amin of Gujarat Foundation. I have revealed in that book how your works inspired me to resume my career in Gujarati writing.

    Please convey my Namaste to Ishwarbhai.

    Wishing you and your family all the best,
    Girish
    P.S. My wife Hasu & I live in Modesto, California, with our younger daughter Shetal, son in law Vipul Bhagat, and children, grand daughter Maya, and grand son Jai. At present visiting Greece, a suburb of Rochester in New York State.

    ReplyDelete