Saturday, May 11, 2013

પુસ્તક નહીં, પણ ઐતિહાસિક કાલસંદૂક



[ ગયે મહિને પ્રકાશિત થયેલા અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્‍ત (કે.કે.) નાં ફિલ્મી જીવનનાં સંભારણાંના પુસ્તક 'ગુઝરા હુઆ ઝમાના' વિષે અહીં કશું લખવાનો જોગ બને એ પહેલાં તો તેની પ્રથમ આવૃત્તિની તમામ નકલો ખતમ થઈ ગઈ. અને એક મહિના જેટલા ટૂંકા સમયમાં તેની બીજી આવૃત્તિ કરવાનો નિર્ણય લેવાનો થયો. આ પુસ્તકને મળેલા આવા અભૂતપૂર્વ પ્રતિસાદથી આનંદ અવશ્ય થાય છે, પણ આશ્ચર્ય નથી થતું. હવે બીજી આવૃત્તિ નિમિત્તે એ પુસ્તકના સ્વાગતવચન તરીકે લખેલું આ લખાણ અહીં મૂકતાં અત્યંત આનંદ થાય છે.] 


મારા વતન જેતપુરની કેપિટોલ ટૉકિઝ અને સાલ ૧૯૫૨ની.  ફિલ્મ દાગ એમાં લાગી ત્યારે મારી વય ચૌદ વર્ષની હતી. એ ઉંમરે ફિલ્મોમાં આવતા સંવેદનાત્મક દૃશ્યો ઝીલવાની પાકટતા તો આવી જ ગઇ હોય. એ ફિલ્મનું એવું જ એક દૃશ્ય: દિકરા દિલીપકુમારે (ફિલ્મમાં નામ શંકર-જે એક શિલ્પી હોય છે) દારુની લતમાં દેવું કરવાથી એની ગેરહાજરીમાં વિધવા માતા(લલિતા પવાર)ને ઘર ખાલી કરાવવા ગામનો શાહુકાર અને એની સાથે એક જપ્તીદાર આવે છે અને ડોશીને ખાલી હાથે ઘરમાંથી હાંકી કાઢવાની કાર્રવાઇ  કરે છે. કકળતા હૈયે ડોશી ઘરમાંથી નીકળવા તો જાય છે પરંતુ નીકળતાં નીકળતાં એક લોટી પોતાની સાથે લઈ જવાનું મન કરે છે. જેની આમ તો છૂટ નથી. તે લોટીને અડકવા જાય છે એ સાથે જ શાહુકાર તેને ધધડાવી નાંખે છે. લલિતા પવાર રીતસર ડરી જાય છે. લોટી લીધા વિના તે આગળ વધે છે. ત્યાં પોતાની ટેકણલાકડી પડી હોય છે. એ ખોફ ખાધેલી નજરે શાહુકાર તરફ જૂએ છે. ત્યારે શાહુકારની સાથે આવેલો જપ્તીદાર એની પર દયા ખાઇને એ છૂટ આપે છે.લે લો, માજી. લે લો !”


એ દૃશ્ય મારા મનમાં આજે એકસઠ વરસ પછી પણ હું મનના પર્દા પર જોઇ શકું છું. કારણ કે એમાં લલિતા પવાર ઉપરાંત એ બે જણાનો અભિનય પણ અતિ વાસ્તવિક છે. એ બે જણામાં શાહુકારની સાથે આવેલો જપ્તીદાર હતા ચરિત્ર અભિનેતા દુબે અને બીજા પેલા ખોફ ઉભો કરનાર શાહુકાર તે આ આપણા કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત! હોય તો એકાદ ક્લોઝઅપ વૃધ્ધાનો હશે, પણ આ બેમાંથી એકનો પણ ક્લોઝ અપ નથી. માત્ર મીડ શોટ જ છે. અને તેમાં પણ  દાયકાઓ સુધી જોનારાના મનમાં જળવાઇ રહેનારી પ્રભાવકતા પેદા કરવી એનો યશ દિગ્દર્શકને તો ખરો જ, પણ અભિનેતાઓની પણ એમાં એટલી જ હિસ્સેદારી .
એ અભિનેતા કે.કે. ક્યારેક મારા વડિલમિત્ર બની રહેશે તેવી કલ્પના પણ રોમાંચ પ્રેરે છે. પણ એ બન્યું છે અને એથી વધુ પણ બન્યું છે. ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીની ગુજરાત રાજ્યની ફિલ્મ એવૉર્ડ જ્યુરીમાં કે.કે. અમારા ચેરમેન હતા. ગુજરાતી ફિલ્મોની વાહિયાતતાથી ઉબાઇ ગયેલા મારા જેવા અધિરીયાને ગમે તેવી કચરા ફિલ્મને પણ આખેઆખી જોઇ લેવાની શીખ આપતા. એ એમના કાયમી મૃદુ સ્વરે મને સમજાવતા,  જૂઓ ભાઇ, એમ કંટાળવાનું નહિં કે ઝોલાં પણ નહિં ખાવાના, કારણ કે આપણે ડાઇરેક્ટરથી માંડીને ડેન્સમાસ્ટર સુધીની તમામ કેટેગરીમાં ઇનામો આપવાના છે. કેમ ખબર પડે કે છેલ્લા દૃશ્યોમાં કોઇ ઉત્કૃષ્ટ ગીત-સંગીત કે નૃત્ય નીકળી આવે ? આપણાથી કોઇને અન્યાય ના થવો જોઇએ.” એમની વાણીમાં રહેલા ન્યાયીભાવ અને વાતની સચ્ચાઇ મને સ્પર્શી જતા અને એમની હિદાયતનું હું પાલન કરતો ( એ વાત જુદી છે કે ત્રણ વર્ષને અંતે કંટાળીને મેં એમાંથી વૉક આઉટ કરી નાખેલું). એ પછી એથીય સારો યોગ થયેલો. જેનો ઉલ્લેખ કદાચ આ પુસ્તકમાં નથી, તે એ કે ગુજરાત રાજ્ય ફિલ્મ નિર્માણ નિગમ હતું ત્યારે વિનોદ જાની (હવે તો સ્વર્ગસ્થ) એના ચેરમેન હતા.  એની અંતર્ગત ફિલ્મનિર્માણ પણ કરવાનું રહેતું. એક ફિલ્મ બનાવવાનું કે. કે.ને સોંપાયેલું ત્યારે મારી વાર્તા સિનો એ માટે પસંદ થયેલી. શરૂઆતના શૂટિંગમાં હું પણ ગયેલો અને કે.કે.ને મારી વાર્તા પર ડાઇરેક્શન આપતા જોયેલા ત્યારે ભારે રોમાંચ થયો હતો. અલબત્ત. પછી એ પ્રોજેક્ટ તો શું. પણ એ નિગમ જ બંધ પડી ગયું.પણ એક વાર તો મને મારા ભાગનો રોમાંચ આપી ગયું.
**** **** ****

'ગુણસુંદરીનો ઘરસંસાર'માં માનચતુરની ભૂમિકામાં કે.કે. 
એવરગ્રીનની જેમ એવરઓલ્ડ ફિલ્મી લોકો પણ હોય છે. એ લોકો ક્યારેય યુવાન નહિં હોય એમ લાગે. આ અનુભુતિ મને કે.કે.ને સીમા ફિલ્મમાં જોઇને ૧૯૫૫માં પણ થઇ હતી. આશ્રમમાં આશરો લઇને રહેતી એક સ્ત્રીને તેનો દારુડીયો પતિ મળવા આવીને જે ઉધામો મચાવે છે તે જોઇને એમ જ લાગ્યું હતું કે આ યુવાન સ્ત્રીનો પતિ આટલો ઉંમરવાન? એમાં એમને ઉંમરવાન દેખાવાની કોઇ પાત્રગત આવશ્યકતા નહોતી. પણ તેમનો ઉશ્કેરાટનો અભિનય એટલો હૂબહુ હતો કે મારા પર એની કાયમી છાપ રહી ગઇ. હું કબૂલ કરું છું કે મારી નવલકથા એકલપંખીમાં મેં એક પાત્ર એમના એ દૃશ્ય પરથી બનાવ્યું છે. એવો ઉશ્કેરાટ, બલકે પુણ્યપ્રકોપ તેમણે ગુણસુંદરીનો ઘરસંસાર નામની ગુજરાતી ફિલ્મમાં ઘરના વડિલ તરીકે બતાવ્યો હતો. અભિનય કરવાની કે,કે ની ધાટી એમની પોતાની છે. ગુસ્સો એમના સ્વભાવમાં હશે તોય એ સ્થાયીભાવ નહિં જ હોય, છતાં એ એ ભાવનો જાનદાર અભિનય કરી શકે છે, તો મૃદુતા એમના સ્વભાવમાં તો સ્થાયીભાવ તરીકે કોઇ પણ વરતી શકે તેમ છે, તો તેવો અભિનય એમને સહજ છે પણ એ અભિનયગત મૃદુતા જોતાં એ એમની એટલે કે  કે. કે. તરીકેની વ્યક્તિગત નહિં, પણ જે તે પાત્રની લાક્ષણિક લાગે. આ અઘરી વાત જરા બીજા ઉદાહરણથી સમજાવું તો અભિનેતા રાજકુમારની કડકાઇ કોઇ પણ પાત્રમાં રાજકુમારીય જ લાગતી (જે એમના સ્વભાવમાં જ હતી) એમની મગરૂરી એમના અસલ વર્તનમાં હતી તેની તે જ પાત્રમાં વરતાતી, તેનો કોઇ અલગ શેડ નહોતો જોવા મળતો. નાના પલસીકરનું રાંકપણું, હંગલનું દયામણાપણું  અને નાઝીર હુસેનનો રૂઆબ, જે તેમની પોતાની મૂડી તરીકે તેમને જન્મથી મળેલું હતું તેના બળ ઉપર જ એ પાત્રોને નિભાવતા. પણ નાટ્યશાસ્ત્ર એમ કહે છે કે જે પોતાના સ્વભાવમાં હોય તો પણ તે વસ્તુને પોતાની સ્ટાઇલમાં નહિં, પણ  સોંપાયેલા પાત્રની વર્તન-ઢબમાં ઢાળનારો કલાકાર વધુ પ્રતિભાશાળી ગણાય. એની વધુ છણાવટ કરવાની આ જગ્યા નથી.પરંતુ એક વાત બેશક. તેમને બીજા ચરિત્ર અભિનેતાઓ કરતાં અલગ સ્થાનના અધિકારી બનાવે છે. એમના જૂના સાથી કલાકારોમાંથી એક માત્ર શકીલાજીને મળવાની અને વધુ પરિચયમાં આવવાની મને તક મળી ત્યારે એમણે પોતાની મુખ્ય ભૂમિકાવાળા બેગુનાહની વાત કરતાં કે.કે.ને પણ પ્રશંસાના ભાવથી યાદ કર્યા હતા. અને આ મુદ્દો પણ મને તેમણે જ સ્પષ્ટ કરી આપ્યો હતો. તે ફિલ્મમાં કે.કે.ની અગત્યની ભૂમિકા હતી, પણ કમનસિબે તે ફિલ્મ તેર અઠવાડિયાં ચાલ્યા પછી પ્રતિબંધિત થઇ ગઇ હતી, કારણ કે તે હોલીવુડની એક ફિલ્મની નકલ હતી. શકીલાજીની ભૂમિકા એક ડોકટરની હતી તેમ તેઓ કહેતાં હતાં.

**** **** ****

આ પુસ્તકમાં આલેખાયેલાં સંસ્મરણોમાં કેન્દ્રસ્થાને કે.કે. છે પણ એમણે ફોકસ પોતાના પર નથી રાખ્યું (કાઠીયાવાડી બોલીમાં કહું તો એ વચ્ચે  છે પણ વચાળે નથી). મારું આ વાક્ય જરા એબ્સર્ડ લાગશે, પણ ઝીણવટથી સમજવા જેવું છે. કોઇ પણ ઘટનાને એમણે પોતાની આસપાસ નથી ગૂંથી, પરંતુ પોતે તે ઘટનાજાળમાં ક્યાં અને કેવી રીતે ગુંથાયા હતા તે આલેખ્યું છે. આમ એમણે પોતાની જાતની વાતને નહિ પણ ઇતિહાસની કોઇ રસિક વાતને મહત્વ આપ્યું છે.  ઇતિહાસની એ વાતને નિમિત્તે એમણે બોમ્બે ટૉકિઝઅમર પિક્ચર્સ, અમીય ચક્રવર્તીના માર્સ એન્ડ મૂવીઝ’, મહિપતરાય શાહ-અનુપચંદ શાહની નિર્માણસંસ્થા જેવી ચિત્રનિર્માણ સંસ્થાઓની ચડતી-પડતીની કથાઓ વર્ણવી છે, તો એમની પૂરી-અધૂરી ફિલ્મોની દશા-અવદશા-સફળતા-નિષ્ફળતાની અધિકૃત હકિકતો પણ આપી છે. ગુજરાતી ફિલ્મો અને તખ્તાની રસપ્રદ વાતો તો આમાં છે જ, પણ હિંદી ફિલ્મજગત અને ઉદ્યોગ તેમાં વધુ વિશદ રીતે ઉપસાવાયા છે. અને મને સૌથી વધુ રસ પડ્યો છે તે તેમના વ્યક્તિચિત્રોમાં.

નિતીન બોઝ (હેટ પહેરેલા) ના યુનિટમાં કે.કે. (સૌથી જમણે) 

 એમના દરેક વ્યક્તિચિત્રોમાં એટલું બધું જીવન એમણે પૂર્યું છે કે આપણી નજર સામે એ હરતા-ફરતા અને કામ કરતા નજર સામે આવે છે. નિતીન બોઝનું વ્યક્તિચિત્ર એમાં સૌથી વધુ તાદૃશ્ય નિપજી આવ્યું છે. એમને ગુરુ માનનારા કે.કે. એ એમની પૂરતી ગરિમા બરકરાર રાખીને પણ એમની હતાશાને વ્યક્ત કરી આપી છે. કેટલીક હકિકતો તેઓ જાણતા હશે, પણ એના ઉલ્લેખ માત્રથી પણ કે.કે. દૂર રહ્યા છે. નિતીન બોઝને ગંગાજમુનાનું દિગ્દર્શન સોંપીને દિલીપકુમારે ગુરુ પરત્વે કૃતજ્ઞતા તો બતાવી, પણ પાછળથી એ ફિલ્મના દિગ્દર્શનની તમામ બાગડોર પોતાના હાથમાં લઇ લીધી અને ગુરુને નેપથ્યમાં મૂકી દીધા એ હકિકત તો ફિલ્મનો ઇતિહાસ જાણનારા સૌ કોઇ જાણે છે, પરંતુ કે.કે.એ એ વસ્તુને સ્પર્શ ના કરીને આ પુસ્તક પૂરતી દિલીપકુમાર-અને નિતીન બોઝ બન્નેની ઇજ્જતને જાળવી લીધી.  બીજા અનેક અનેક વ્યક્તિચિત્રો- રાજ કપૂર, અમીય ચક્રવર્તી,સાધના બોઝ, શુભા ખોટે, લીલા દેસાઇ અને રવિન્દ્ર દવે જેવાના માત્ર વાક્યોના એક-બે લસરકાથી કે.કે.એ રસળતી બાનીમાં નિરુપ્યાં છે. અને એ બધા નિરુપણોની સમાંતરે એ જમાનાની ફિલ્મનિર્માણની પ્રક્રિયાઅને ગતિવિધીઓ, કલાકારોની સ્થિતી, આર્થિક અને સામાજિક પરિસ્થિતી, શૂટિંગની રીતરસમો અને ટેક્નિક અને તે વખતનો દેશકાળ સુધ્ધાં કે.કે.એ ઇતિહાસજ્ઞ હોવાના કોઇ અભિનિવેશ વગર આ પુસ્તકમાં પ્રતિબિંબિત કરી આપ્યો છે.

આ ગ્રંથ ગુઝરા હૂઆ ઝમાના ને હું કે.કે.ની પહેલા પુરુષ એકવચનમાં આલેખાયેલી આત્મકથા ગણતા અચકાઉં છું. આ તો એક ચોક્કસ સમયની ડોક્યુમેન્‍ટરી છે, જેના કે.કે. માત્ર પ્રવક્તા જ છે. એક એવા પ્રવક્તા કે જેઓ પોતે એ ચોક્કસ સમયખંડનો સક્રીય હિસ્સો હતા. એટલે એમને એમાં હુંને સંડોવવો અનિવાર્ય છે, અને એ સંડોવણી એ ઇતિહાસને કિંવદંતી હોવાના શકથી દૂર રાખે છે. જેને નકારી શકાય એવી કોઇ પણ વાત તેમણે લખી નથી. પોતાને થયેલા અન્યાયો કે અવગણનાઓને  તેમણે દસ્તાવેજી વજન આપ્યું નથી. એવી વાતો આમાં બહુ ઓછી છે અને જે છે તે પણ કોઇ એક ઐતિહાસિક તથ્યને મુકર્રર કરવાને માટે જ છે  એનું ગાણું બનાવવાને માટે નહિં.

કોઇ પણ ક્ષેત્રનો કલાકાર પોતાના અધિકૃત ઇન્વોલ્વમેન્ટવાળી છતાં સ્વલક્ષી નહિં, એવી ચોક્કસ સમયગાળાની ક્ષેત્રકથાઓ લખે તો એ તટસ્થ ઇતિહાસના આલેખકને બહુ ખપમાં આવે. આ પુસ્તકનું પણ કોઇ સાહસિક નિર્માતા જરૂરી ડ્રામેટાઇઝેશન સાથે ફિલ્મીકરણ કરે તો એક નવી જ તરાહની હિસ્ટરીકેપ્સ્યુલ (કાલસંદૂક) તરીકે એ આવનારી પેઢીના સંશોધકોને બહુ ખપમાં આવે.
વરસોથી ખોરંભે પડેલા આ કામને મિત્ર હરીશ રઘુવંશી અને સમર્થ સંપાદક અને સંકલક ભાઇ બીરેન કોઠારીએ કે.કે. સાહેબને મનાવી મનાવીને હાથમાં લીધું અને પાર પાડ્યું, તે એમનો ગુજરાતી ચરિત્રસાહિત્ય અને ફિલ્મસાહિત્ય પરનો મોટો અનુગ્રહ છે.
અપૂર્વ આશર જેવા દૃષ્ટિવંત કલાકારની સૂઝ આ પુસ્તકની સજાવટમાં ઉમેરાઈ અને દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી તેમજ ઉર્વીશ કોઠારી જેવા મિત્રોએ પોતાના અનોખા સાહસ 'સાર્થક પ્રકાશન'ના આરંભે જ આ પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ રીતે અનેક શુભ બાબતોનો આ પુસ્તકમાં સુયોગ સાંપડ્યો છે.

કે.કે.સાહેબ, આપને આ અવિસ્મણીય ભેટ ગુજરાતને આપવા બદલ અનેક અનેક વંદન-અભિનંદન. 

(ગુઝરા હુઆ ઝમાના, લેખન: કૃષ્ણકાન્‍ત (કે.કે.), સંપાદન: બીરેન કોઠારી, સાર્થક પ્રકાશન, ૩, રામવન ફ્લેટ્સ, નિર્માણ હાઈસ્કૂલ પાસે, નેહરુ પાર્ક, દિલીપ ધોળકીયા માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦ ૦૧૫. 
કિંમત: ૩૦૦ રૂ., પૃષ્ઠસંખ્યા: ૩૦૪, ઈ-મેલ: spguj2013@gmail.com) 

Saturday, April 27, 2013

સાવ મામૂલી


           ‘હેતુ ?’
           ‘શાળા બનાવવી છે.’
           ‘પણ એમાં તમને મારી આટલી બધી જમીન જોઈએ ?’
           ‘જોઈએ તો ખરી, મનચંદાણી શેઠ, વધારે જોઈએ. કારણ કે સરકારી કાનૂન મુજબ શાળા ખોલવી હોય તો સાથે પ્લેગ્રાઉન્ડ પણ જોઈએ અને સેનિટેશનની પણ પૂરી સગવડ જોઈએ.’
            મનચંદાણી શેઠે કશ લઈને સિગારેટવાળો હાથ જમણી તરફ પડેલી ઍશ-ટ્રે તરફ લંબાવ્યો અને થૂલી ખંખેરી પછી સામેના વૉલપીસ તરફ તાકી રહ્યા.
            નિર્ણયની ઘડી સુધી પહોંચતાં લગી વિચારોના નાના મોટા બોગદામાંથી પસાર થવું પડે. એ બધું ચહેરા પર સ્પષ્ટ વરતાઈ આવે.
            ક્યાં પહોંચી ગયા ?
            ૧૯૪૭ના ભાગલા વખતે નિર્વાસિત બનીને સિંઘના સખ્ખર (સક્કર) પ્રદેશમાંથી ગુજરાતમાં ઊતરી આવ્યા હતા. કોઈ બંદૂકનો ભડાકો ધણધણે અને પંખીઓ એકસામટાં માળામાંથી પાંખો ફફડાવીને ઊડી જાય એમ જ થયું હતું. એ વખતે ઊડતાં પંખીમાંથી એકાદને પકડીને કોઈ એની છાતીએ ટચલી આંગળી મૂકે તો પણ સમજાઈ જાય કે પાંખોમાં ફફડાટ પછી જન્મ્યો હશે, પહેલાં પ્રાણ ફફડી ઊઠ્યો હશે. ભયે આંખોનો આકાર બદલી નાખ્યો હશે.
કોઈ બંદૂકનો ભડાકો ધણધણે અને પંખીઓ એકસામટાં
માળામાંથી  પાંખો ફફડાવીને  ઊડી  જાય એમ  જ થયું હતું. 
            એવા દિવસો હતા. ગંદકીથી છલોછલ. એ દિવસોની દુર્ગંધ તો હજુ નાકમાં સચવાઈ રહી છે.
            ખેર, પણ એ વાતનો આ લોકો શાળા માટે મફત જમીન માગવા આવ્યા છે એની સાથે શો સંબંધ? શાળા ખોલવી કે એના માટે મદદરૂપ થવું એ ઉમદા કામ છે. નિર્વાસિત બનીને અહીં આવ્યા ત્યારે પહેરેલ કપડે આવ્યા હતા. આજે મબલખ પૈસો અને પ્રોપર્ટી છે. ચાલીસ વરસના યુદ્ધમાં આ બધું જીત્યું ને જમા કર્યું. ત્યાંથી આવ્યા પછીનાં ચાલીસ વરસ એ એ રીતે યુદ્ધનાં હતાં. મનચંદાણી ત્યાં શિક્ષક હતા અને અહીં વેપારમાં પડ્યા અને તરી ગયા. દુઃખ માત્ર એક જ વાતનું હતું કે નાના છોકરાનો સખ્ખરમાં અધૂરો છોડેલો અભ્યાસ આગળ ધપાવી શક્યા નહીં. છોકરાને ધંધામાં જોતરી દેવો પડ્યો.
           ‘નાના શેઠ નથી ?’ શાળાના એક ટ્રસ્ટીએ માત્ર વિવેકથી પૂછ્યું.
           ‘એ બહાર ગયો છે.’ મનચંદાણી બોલ્યા : ‘પણ તમે ચિંતા ના કરો. ડિસિશન તો હું જ લઈશ.’
           ‘નાનક શેઠના હાથે જ ભૂમિપૂજન કરાવીએ.’ એક જણ બોલ્યો. નાનક શેઠ એટલે મનચંદાણીનો દીકરો. મનચંદાણી જરા દુઃખથી મરકીને બોલ્યા : ‘અભણના હાથે શાળાનું ભૂમિપૂજન ના કરાવાય.’
            ‘અભણ ?’ એક ટ્રસ્ટી બોલ્યા : ‘હોય નહીં ’
            ‘હોય નહીં, હોવા પણ ના જોઈએ.’ મનચંદાણીએ કહ્યું અને એકાએક બે શબ્દો પર સો મણનું વજન મૂકીને બોલ્યા : ‘પણ છે. અમે સિંઘથી આવ્યા ત્યારે એને અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.’
             ‘પણ શેઠ’ એક જણ બોલ્યો : ‘એ વખતે તો એડમિશનના બહુ પ્રશ્નો ક્યાં હતા ? તરત જ એડમિશન આપી દેતા હતા. એમાંય નિરાશ્રિતોનાં બાળકોને તો તરત જ.’
              ‘નિરાશ્રિત ના કહો.’ મનચંદાણી એકદમ શિક્ષકના ભાવમાં આવી જઈને બોલ્યા : ‘નિર્વાસિત કહો. કોઈ કોઈને આશરે નથી હોતું, ભરોસે હોય છે. છાપરાના મકાનધણીને છાપરાનો ભરોસો હોય છે. અમે શેના નિરાશ્રિત ? અમે તો અમારા દેશના જ બીજા ભાગમાં અમારાં જ સ્વજનો વચ્ચે આવ્યાં હતાં.’
              ‘સાચું.’ એક જણ બોલ્યો ને પછી શુદ્ધ માખણના સ્વરમાં ઉમેર્યું : ‘પણ, જુઓને, અહીં આવીને આપે કેવાં કેવાં સારાં કામ કર્યા ? એ બધું આપના પુરુષાર્થનું જ ફળ ને ?’
               ‘પણ મનચંદાણી શેઠ ,’ બીજો ટ્રસ્ટી બોલ્યો. ‘નાના શેઠને જોઈને કોઈ એમ ના કહી શકે કે એ ભણ્યા નથી.’
               ‘ભણેલો છઠ્ઠી અંગ્રેજી સુધી.’ મનચંદાણી બોલ્યા, ‘પણ અહીં આવીને અમારે ચાર-પાંચ ગામ બદલવાં પડ્યાં, તે પણ એને ભણાવવાના હેતુથી જ.’
                ‘તે પછી શું કંઈ મુશ્કેલી ઊભી થયેલી ?’ પહેલા જણે પૂછ્યું.
                મનચંદાણીના મનમાં એ ત્રણ-ચાર માસની મુશ્કેલી ફરી સજીવ થઈ ઊઠી. થોડોક સમય તો રેફ્યુજી કૅમ્પમાં રહ્યા હતા. પણ પછી ભાડે મકાન શોધવા નીકળ્યા હતા. પણ હિંદુસ્તાનમાં મકાન !
એ દ્રશ્યો યાદ આવી ગયાં.
               ‘કેવા છો ?
ઓહ, નિરાશી ? (નિરાશ્રિત) સિંધી !’
                મનચંદાણી કંઈ બોલ્યા નહોતા. વધેલી દાઢી પર હાથ ફેરવી રહ્યા હતા.
                ‘ત્યારે તો માંસ-મચ્છી ખાતા હશો ખરું ?’
                જૂઠું બોલવાનું મન થયું. પણ બોલી ન શકાયું. બોલ્યા : ‘ક્યારેક, પણ અમારા ઘરની બહાર એની ગંધ પણ ના આવે.’
                ‘નથી આપવું, ભાઈ, અમારે મકાન.’ કહીને મકાનધણી અપમાનભરી નજર ફેંકીને ઊભો થઈ ગયો હતો. ‘અરે, અરે’, મનચંદાણી બોલવા ગયા, ‘શેઠ, તમે કહેશો તો નહીં ખાઈએ.’
               પણ મકાનધણીનું મોં બગડી ગયું હતું. જાણે કે સામે જ મચ્છી તળાતી હોય. મનચંદાણી બીજે ગયા.
               આખરે ‘કહેશો ત્યારે ખાલી કરી દઈશું’ – ની શરતે એક જગ્યાએ રૂમ-રસોડું-ઓસરી મળ્યાં હતાં. શરત એ હતી કે માંસ-મચ્છી-ઈંડા કશું રાંધવામાં નહીં આવે.
                મનચંદાણીનો એક માસ તો માંડમાંડ સુખચેનથી પસાર થયો. અહીં નાનક નિશાળે પણ જવા માંડ્યો હતો. પણ એક દિવસ સવારમાં જ -
                ‘ભાઈ રોજે રોજ અમને આ ના પોસાય.’ મકાનમાલિક અને એની બૈરી સામે જ ઊભા હતાં. આ શબ્દો એમના હતા.
               ‘શું સાહેબ ?’ મનચંદાણીએ પૂછ્યું. મકાન-ધણિયાણીનું મોં એકદમ બગડી ગયું. એ બોલી : ‘તમે અમને બે દિ’માં મકાન ખાલી કરી દો.’

               ‘અરે, પણ શું થયું ?’ મનચંદાણીએ પૂછ્યું.
               ‘અમારાથી તમારા રસોડાની વાસ સહન નથી થાતી રોજરોજ.’
               ‘પણ બહેન’, મનચંદાણી એકદમ દયામણો ચહેરો કરીને બોલ્યા : ‘અમે અહીં કંઈ જ અખાજ ખાતા નથી. અરે ઈંડા પણ નહીં ને !’
               ‘પણ, ડુંગળી-લસણ તો ખાઓ છો ને !’ એની વાસ અમારું મગજ ફેરવી નાખે છે. સવાર-સાંજ અમારા ઘરમાં પૂજાપાઠ થાય. ડુંગળી-લસણનું તો અમારાથી નામ ના લેવાય. અમે ધરમધ્યાનમાં માનવાવાળાં. અમારાથી આવું સહન થાય જ નહીં.’
               મનચંદાણીએ બે દિવસમાં ગમે તેમ કરીને બહુ દૂરના વિસ્તારમાં મકાન શોધી લીધું, પણ નાનકાને ચાલુ નિશાળ છોડાવવી પડી. નાનકાનો જીવ પણ આ ઊથલધડાને કારણે ભણવામાં રહ્યો નહોતો. અંતે ધંધામાં જોતરાઈ ગયો. છઠ્ઠી અંગ્રેજીથી મૅટ્રિકનું સ્ટેશન પછી કદી આવ્યું જ નહીં.
               આ બધી વાત કરીને મનચંદાણીએ ટ્રસ્ટીઓને કહ્યું : ‘પણ ખેર, એ બધી ગઈ ગુજરી જવા દો.’
                ‘આપણાં લોક જરી ધરમ-કરમવાળાં વધુને !’ એક ટ્રસ્ટી બોલ્યા ને એ જ ક્ષણે મનચંદાણીના મનમાં ત્રીસ વરસપહેલાંની પેલી મકાન-ધણિયાણીની છબી ઊપસી આવી. એણે ફરી પેલાને પૂછ્યું : ‘શું કહ્યું આપે ?’
               ‘ચુસ્ત મરજાદીમાં અમારામાં લસણ-ડુંગળી ના ખાય.’ પેલાએ એકદમ ઠાવકાઈથી કહ્યું.
               મનચંદાણીને હવે બાંસઠ ઉપર થઈ ગયાં હતાં. પોતાની વાત સામાના ગળે ઉતારવાના નિષ્ફળ મરણિયા પ્રયત્નની લાંબી જફા કરવા કરતાં વાતનો સાવ બંધવાળી દેવાની સુખ આપનારી સમજણ મનમાં બરાબર વિકસી ચૂકી હતી. એટલે એમણે કહ્યું : ‘ખેર, તમારે જમીન જોઈએ છે ને ? હું આપીશ. માત્ર મને અઠવાડિયાનો સમય આપો. મને કાગળિયાં તપાસી લેવા દો. વકીલને પૂછી લેવા દો. સમજી ગયા  ને ?’
              ઊઠતાં ઊઠતાં એ લોકોએ પૂછ્યું : ‘જાહેરાત કરી દઈએ ?’
              ‘ના.’ મનચંદાણીએ કહ્યું : ‘એટલું બાકી રાખો.’ બહાર નીકળીને એક ટ્રસ્ટી બોલ્યા : ‘મનચંદાણી શેઠ બોલ્યું પાળે જ. એમાં બેફિકર રહેવું.....’

****      *****      *****

              ‘આપને વકીલે ના પાડી ?’ ટ્રસ્ટીઓએ સાવ દયામણા ચહેરે પૂછ્યું.
              ‘ના.’ મનચંદાણી બોલ્યા : ‘તમે ગયા પછીના આ પંદર દિવસમાં હું મારા વકિલને એક વાર મળ્યો નથી.’
              ‘તો ?’ બીજો ટ્રસ્ટી બોલ્યો : ‘અમારો કંઈ વાંક ?’
              ‘વ્યક્તિ તરીકે આપનો કોઈ જ વાંક નથી.’ એમણે કહ્યું, ‘વાંક તો મારો કે મેં આપને લગભગ વચન આપ્યું અને પાળ્યું નહીં.’
              ‘અમને તમારા પ્રત્યે વધારે દુઃખ એ માટે છે.... એક ટ્રસ્ટી ઠંડી કંપારીવાળા અવાજથી બોલ્યા : ‘તમે અમને જમીન ના આપી તો કંઈ નહીં, પણ પેલા ઈસ્લામિયા મદ્રેસાવાળાને આપી દીધી !’
              ‘શેઠ.’ બીજો જણ બોલ્યો : ‘કોઇ પાકિસ્તાન ચાલ્યા ગયેલા મેમણની જમીન મદ્રેસા ટ્રસ્ટને મળે તો સમજ્યા. પણ આપણી હિંદુની ! અને એમાં પણ સિંધીની ? એક ટ્રસ્ટીને બહુ ગરમી થતી હતી. બોલ્યો : ‘તમે જરા વિચાર તો કરો મનચંદાણી શેઠ. આ એ જ મુસલમાનો છે કે જેમણે તમને તમારા વતનમાંથી હાંકી કાઢ્યા.’ બોલતાં બોલતાં એના મોં પર ધિક્કારની રેખાઓ સળવળી ગઈ. એ બોલ્યો : ‘આમાં આપણી હિન્દુ કોમની એકતા ક્યાં રહી ?’ એનું મોં એવી રીતે બગડી ગયું કે મનચંદાણીને અચાનક ત્રીજા વરસ પહેલાં જોયેલી મકાન-ધણિયાણીના ખૂબસૂરત ચહેરાની ‘કુરૂપતા’ યાદ આવી ગઈ.
              એમણે કહ્યું : ‘મને મારા હિન્દુ ધર્મ પ્રત્યે અપાર લાગણી છે, ભાઈ; ને એવું પણ નથી કે હું દુશ્મન છું ધર્મનો. ને એવું પણ નથી કે ઈતિહાસને હું સમજ્યો નથી. સમજ્યો છું, એટલે જ મને.....’
              ‘માફ કરજો, શેઠ’ એક ટ્રસ્ટી બોલ્યો : ‘આ બાબતમાં આપ અમને સમજાવી નહીં શકો.’
              ‘તમને કોઈ વાતમાં સમજાવી શકતો નથી એ જ તો મારી બદનસીબી છે.’ મનચંદાણી બોલ્યા : ‘ને સમજાવવા પણ નથી માગતો. પણ એટલું સમજો તો સારું કે ત્યાંથી અમને હાંકી કઢાવનાર જે મુસલમાનો હતા, તે આ નહોતા. ને એટલું પણ સમજવા ના માગતો હો તો કહું કે.... ભાઈ, તમને ખબર છે કે જ્યારે અમારી રહેણી-કરણી, ખોરાક કે ડુંગળી-કાંદા જેવી આદતને કારણે છેલ્લે છગન જાદવજી ગાંધી અને એની બૈરીએ બે દિવસમાં મકાન ખાલી કરાવ્યું ત્યારે મકાન મને કોણે આપ્યું હતું ?’
             કોઈના પણ જવાબની રાહ જોયા વગર એ બોલ્યા : ‘એક મુસલમાને જ મને મકાન આપ્યું હતું. ને એ મકાનમાં અમે એકધારાં સોળ વરસ કાઢ્યાં હતાં. કદી કોઈ વાંધોવચકો પણ પડ્યો નહોતો.’

*****         *****       ****

             ‘ઊહ !’ બહાર નીકળીને એક ટ્રસ્ટી બોલ્યા : ‘જમીન ના આપવી હોય તો કાંઈ નહીં. પણ તમે જોયું ? માણસો બહાનાંય કેવાં કેવાં આગળ ધરે છે ?’
             ‘સાવ મામૂલી.’ બીજો બોલ્યો અને સૌ એકસાથે એક ટોળીમાં ચાલવા લાગ્યા.

Thursday, April 11, 2013

સ્પેશ્યલ ટ્રેઈનના પૅસેન્જર



      સૌરાષ્ટ્રની રેલવેને સો વરસ ઉપર થઈ ગયાં પણ આ છનિયા-મનિયાની વાતને કોઈએ યાદ કરી ? છનિયા-મનિયા બંને ભાઈઓ વીરપુરુષો હતા. કમનસીબે આ વીરપુરુષો પરણ્યા નહોતા, એટલે કશો વંશવેલો મૂકતા નથી ગયા એ આપણી અને આ પૃથ્વીની કમનસીબી. અલબત્ત, ઇતિહાસને પાને અને રેલવેને ચોપડે એમનું નામ અમર છે અને રહેશે.
      શું હતા આ બન્ને ભાઈઓ ? શું હતા એના બદલે એમણે શું કર્યું એ વધારે મહત્ત્વનું છે. શું કર્યું હતું ?
      વ્યવસાયે કુશળ રસોઈયા ભાઈઓએ અસલ બ્રાહ્મણિયા સ્ટાઈલથી હોઠ વચ્ચે તમાકુ ભરાવીને એક વાર આલા દરજ્જાની કઢી બનાવી હતી અને ગાયકવાડ સરકારને જમાડી હતી. બાપુનો મુકામ અમરેલી હતો અને સ્ટેટનો કાયમી સાથે રહેતો રસોઈયો બીમાર પડી ગયો હતો. છનિયા-મનિયાને યાદ કરવામાં આવ્યા અને બીજા જ કલાકે હાજર !
      કઢી ખાઈને પ્રસન્ન થયેલા સયાજીરાવે રસોઈયાનાં નામ પૂછ્યાં. છન્નાલાલ અને મણિશંકર બાપુ પાસે હાજર થયા. આપો બન્નેને હજાર હજાર રૂપિયા ઈનામ. સયાજીરાવે હુકમ કર્યો અને બંને બ્રાહ્મણોના અંગરખાનાં ખિસ્સાં છલકાયાં.
        જિંદગી આખી દરિદ્ર અવસ્થામાં વીતી હતી બન્ને ભાઈઓના વસ્તારમાં એ પોતે બન્ને જણા જ. છતાં માંડ પૂરું થતું હતું. ગોરપદામાં એમનો ગજ વાગતો નહોતો અને રસોઈનું કામ કંઈ થોડું જ બારે મહિના પહોંચે? મળે પણ કેટલુંક ?
      છલકાયેલા ગજવે બન્ને સયાજીરાવના મહેલેથી બહાર નીકળ્યા કે તરત જ આ દોલતને સાચવવા અંગે બન્ને વચ્ચે વાટાઘાટો શરૂ થઈ.
      ખાડો ખોદીને દાટી દઈએ.
      વાણિયાને ત્યાં વ્યાજે મૂકી દઈએ.
      એના કરતાં બંડીમાં સીવીને સાથે રાખીએ.
      મસ્તી ચડતી હતી એને સાચવવાની વાતોથી. છનિયા-મનિયાના પગ જમીન પર છબતા નહોતા. ચૂનો-તમાકુ પણ આજ વધારે ટેસદાર બન્યાં કે શું ?
      એમ કર છનિયા, પહેલાં બંને જણા અંગરખાં નવાં સિવડાવી લઈએ.
      અંગરખાં તો આપણી પાસે વારાફરતી પહેરાય તેવાં બે છે. એમ કરીએ, નવાં નવાં ધોતિયાં....
      નવાં લૂગડાં કોઇક જોશે તો, મનિયાની બુદ્ધિ બોલી : નવાં લૂગડાં પહેરીશું તો કોકને ઈનામ આપવાનું મન થાતું હશે તો પણ નહીં થાય. બ્રાહ્મણ તો ગરીબ દેખાયે જ સારો.
      છનિયો કબૂલ. એમ કર – ઘરનાં નળિયાં ચળાવી લઈએ !’
      એકાએક મનિયામાં ધર્મભાવ પ્રગટ્યો : કંઈ પણ કરતાં પહેલાં આપણે સોમનાથના દર્શનની જાત્રા કરી આવીએ.
      છનિયો ફરી કબૂલ.
      પણ સ્ટેશન પહોંચ્યા ત્યાં ગાડી ઊપડી ગઈ હતી. સ્ટેશન માસ્તર બારી બંધ જ કરતો હતો. શું હાલ્યા આવો છો ? ગાડીના ટાઈમનું પણ ભાન નથી ?’
"શું હાલ્યા આવો છો? ગાડીના ટાઈમનું પણ ભાન નથી?" 
      પણ અમારે જાત્રાએ જવું છે.
            ‘હવે તો કાલે ગાડી આવે.
      માંડ માંડ મન તત્પર થતું હતું અને હવે કાલ પર વાત? ચોવીસ કલાક કેવી રીતે જાય ? ત્યાં તો મનેયે પલટાઈ ગયું હોય. કળિયુગ છે.
      અમારે તો આજે જ જાવું છે.
      સ્ટેશન માસ્તરે એમના દિદાર જોયા. મેલાં ઘેલાં અંગરખાં અને હળદરના ડાઘવાળાં ધોતિયાં. એમને ટીખળ સૂઝી, આજ જ જાવું હોય તો એક રસ્તો છે.
      શું ?’
      સ્પેશ્યલ એક ડબ્બાની ગાડી જોડાવો. સાંજ પહેલાં સોમનાથ.
      છનિયા-મનિયા પહેલાં સમજ્યા, પછી મગજમાં ઘડ પડી, સ્પેશ્યલ એટલે અમારી પોતાની સુવાંગ.... એમ જ ને ?’
સ્ટેશન માસ્તરે મલકાતાં મલકાતાં હા પાડી. બન્ને ભાઈઓ બોઘાની જેમ બે મિનિટ ઊભા રહ્યા. પછી પૂછ્યું : કેટલી ટિકિટ થાય ?’

      સ્ટેશન માસ્તરને મઝા આવી ગઈ.

      બે હજાર રૂપિયા થાય; બોલો છે વિચાર ?’

      છનિયા-મનિયાએ એકબીજા સામે જોયું. ત્યાં વળી સ્ટેશન માસ્તરે બોલો બોલો બ્રહ્મદેવો !’ એમ કહ્યું ત્યારે સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણનો દરિયાકિનારો છનિયા-મનિયાના મગજમાં ચીતરાઈ ગયો હતો. એમાં નવાં અંગરખાં, ધોતિયાં, નવાં નળિયાં વગેરે જાણે કે એમાં ઉંચકનીચક થતાં થતાં તણાતાં જતાં દેખાતાં હતાં. ગજવામાં પડ્યા પડ્યા રૂપિયા પણ ઠીક ઠીક ગરમી આપતા હતા.

        એકાએક મનિયાએ નોટોનો ચોડો બહાર કાઢતાં કહ્યું : ત્યારે મંગાવો ઈસ્પેશલ ગાડી. આ રહ્યા પૈસા, માનશું કે નોતા કમાણા....!’

      અરે પણ મનિયા !’ છનિયો બોલવા ગયો.

        અરે હાલ્યની ! ટેસ કરી લઈએ. એક વાર મનિયાએ સ્ટેશન માસ્તર સામે જોઈને ફરી કહ્યું, તમ તમારે...

      સ્ટેશન માસ્તરના ચહેરા ઉપરથી રમૂજ ખોવાઈ ગઈ. બરાબર વિચાર કરીને કહો છો ને ? આ પૈસા ક્યાંયથી...
      બરાબર વિચાર જ હોય. મનિયો બોલ્યો : ‘તો જ કેતા હોઈએ ને !’
      પૈસા પણ સયાજીબાપુએ બક્ષિસના કરીને આપ્યા છે. વાત શું કરો છો ? અમે તમને ચોર જેવા લાગીએ છીએ ?
      સ્ટેશન માસ્તરે ધ્રૂજતે હાથે રસીદ બનાવી. પછી બારીની બહાર આવીને વેઈટિંગ રૂમ ખોલી આપ્યો. છનિયો-મનિયો લાંબા હાથાવાળી ડબલ ખુરશી, પિત્તળના સ્ક્રુથી ગાદી જડેલો બાંકડો અને મોટું ભખંદર ગોળ મેજ જોઈ રહ્યા ને પછી નીચે ભોંય ઉપર જ બેસી ગયા. થોડી જ વારમાં ઘોંટી ગયા.
      ખીજડિયા તાર કરીને સ્ટેશન માસ્તરે સ્પેશ્યલ ગાડી મંગાવી. ગાડી આવી ત્યારે ભેગા બે સંત્રી પણ આવ્યા હતા. લીલા રંગનો પીળી પટીવાળો સલૂન જેવો ડબ્બો હતો.
      છનિયા-મનિયાને વેઈટિંગ રૂમની ભોંય પરથી ઉઠાડીને એમની સ્પેશ્યલ ગાડીમાં બેસાડવામાં આવ્યા ત્યારે સ્ટેશન માસ્તરે એમને અતિ વિનય-વિવેકવાળી ભાષામાં ધીરેથી સૂચના આપી, આપ બન્ને ડબ્બામાં ભોંય પર ના બેસશો. આ ગાદીવાળી સીટ આપના માટે જ છે. આપ..
      અમારે ઠીક પડે એમ કરશું. બ્રાહ્મણશાઈ કડવી ભાષામાં મનિયાએ જવાબ આપ્યો. તમે તમારે જાવની. તમને રૂપિયા તો મળી ગ્યા ને ?
      ક્યારે પોગાડશે ?’
      સ્પેશ્યલ ટ્રેન છે એટલે છ જ કલાક લગાડશે.
      આરતી પહેલાં તો પહોંચશું ને ?’
      ગાડી ઉપડી ત્યારે સ્ટેશન માસ્તર પોટલા જેવો થઈને ખુરશીમાં બેઠો. વેરાવળ સ્ટેશને એણે તાર કર્યો : ‘ટુ પેસેન્જર્સ એરાઈવિંગ બાય સ્પેશ્યલ ટ્રેઈન; પ્લીઝ રિસીવ. 
ટુ પેસેન્‍જર્સ એરાઈવીંગ બાય સ્પેશ્યલ ટ્રેન.
પ્લીઝ  રિસીવ. 
કુંકાવાવ સ્ટેશને મનિયાને ચા પીવાની ઈચ્છા થઈ. પીધી. જેતલસર જંકશનમાં છનિયાને ભજિયાં ખાવાની ઈચ્છા થઈ. પણ સંયમ રાખવો પડ્યો. ગજવામાં હવે માત્ર ચાર-પાંચ રૂપિયાની મૂળ મૂડી જ પડી હતી.
        જૂનાગઢ પાસેથી નીકળતી વખતે દૂરથી ગિરનાર જોઈને બન્ને ભાઈઓ ભારે હરખાયા – હાથ જોડ્યા.
        આખરના વેરાવળ સ્ટેશને ભારે ચહલપહલ થઈ રહી હતી. બે જણા સ્પેશ્યલ ટ્રેઈનમાં આવે છે ! ગોરા સાહેબો હશે ? કે કોઈ રજવાડું ? સ્ટેશન માસ્તર અનુભવી હતા. એમણે સાંધાવાળાને ફૂલહાર લેવા મોકલ્યો. ગાડી પહોંચવાના ટાઈમે માંડ ફૂલહાર આવ્યા. સિગ્નલ પાસે ધુમાડા દેખાવા માંડ્યા. ત્યારથી સ્ટેશન માસ્તર સલામીની મુદ્રામાં ઊભા રહી ગયા.
      ગાડી ઊભી રહી. પણ ડબ્બામાંથી કેમ કોઈ ઊતરતું નથી ? સ્ટેશન માસ્તર ડબ્બાની નજીક આવ્યા. અંદરથી કોક બારણું ખોલવાની મથામણ કરતું હતું. સ્ટેશન માસ્તરે જરા ક્ષોભ સાથે બારણું ખોલી આપ્યું. એ સાથે જ છનિયા-મનિયાએ પ્લેટફોર્મ પર પગ દીધો. સ્ટેશન માસ્તર એમની પાછળ ડબ્બામાં નજર નાંખી રહ્યા. કોઈ નહોતું. સાંધાવાળો ફૂલહાર લઈને તત્પર ઊભો હતો. પણ સ્ટેશન માસ્તર મૂઢમતિ થઈ ગયા હતા. કોને ફૂલહાર કરવા ? આ મેલાંઘેલાં, પીળા ડાઘાવાળાં ધોતિયાં. અંગરખાવાળા, ખભે ટીંગાડેલી લાકડીમાં જેમણે પગરખાં ટીંગાડ્યાં છે એવા આ બે દરીદ્ર બ્રાહ્મણોને ?
      છનિયા-મનિયા નીચે ઊતરીને ચાલવા માંડ્યા. છનિયાએ કહ્યું ટિકિટ બતાવ. એવો નિયમ હોય છે. મનિયાએ રસીદ કાઢીને સ્ટેશન માસ્તરના હાથમાં પકડાવી. નિયમને માન તો દેવું જ પડે ને !
      બન્ને સ્ટેશનની બહાર નીકળી ગયા.
**** **** ****

      એકાદ માસ પછી બન્ને અમરેલી પાછા ફર્યા ત્યારે નાતીલાઓએ પૂછ્યું : અરે છનિયા, મનિયા ! આ બેઉને પગે પાટા શેના બાંધ્યા છે !’
      જાત્રાએ જઈ આવ્યા ને ?’ મનિયાએ કહ્યું.
      પણ તમે તો ગાડીમાં ગયાતા એમ સાંભળ્યું તું !’
      હા પણ... છનિયાએ કહ્યું : ‘ગયા ત્યારે ઈસ્પેશ્યલ ગાડીમાં ગયા હતા, પણ...
      મનિયાએ વાક્ય પૂરું કર્યું : પણ વળતી વખતે ગાંઠે રૂપિયા નહોતા. માળું હાલીને આવવું પડ્યું. એમાં આ ભાઠાં પડી ગયાં પગમાં.
      બન્ને એકસાથે જોરથી હસ્યા. એ સાથે જ પગમાં સબાકો ઊપડ્યો. સિસકારો બોલી ગયો.



****         *****        ****      *****      

આ સત્યઘટના પાછળની કથા 

     - રજનીકુમાર   પંડ્યા 

(મારા પિતાજી બહુ વાતરસિયા હતા, અમે બન્ને ભાઇઓ અને બહેન જ્યારે નીચે ભોંય પર તેમની ફરતે કુંડાળું વળીને બેસતા ત્યારે તેઓ અનેક અનેક કિસ્સાઓ અમને કલાકોના કલાકો સુધી કહેતા. મોટે ભાગે અમારી કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિના વિચિત્ર કે વિશિષ્ટ પાત્રો એ કિસ્સાઓના હીરો રહેતા. એમાં કેન્દ્રસ્થાને મજાકીયો ભાવ રહેતો, પરંતુ પ્રચ્છન્નપણે કારૂણી પણ વહી આવતી. અમારી જ્ઞાતિના પુરુષો સાચક છતાં વાણીમાં વરવા ગણાતા. વાતે વાતે વાંકુ બોલવું અને ન હોય ત્યાંથી ઝગડો ઉભો કરવો એ તેમની ખાસિયત ગણાતી, અમે લોકો મોટે ભાગે ગોરપદું કરતા (મારા દાદા સુધી એ ચાલ્યું આવેલું) અને એમાં કપટનો કોઇ અવકાશ ન રહેતો. ઉલટાનું દીર્ઘદ્રષ્ટિવિહિનતામાંથી જન્મતું ભોટપણું એ આવા ઓછું ભણેલા અમારા જ્ઞાતિબંધુઓનુ ટ્રેડ માર્ક લક્ષણ ગણાતું.

અલબત્ત. આમાં અપવાદો પણ ઘણા હતા. મારા પિતા અમલદાર થયા. તો અમારી જ જ્ઞાતિના ગીજુભાઇ વ્યાસ અને એમના ભાઇઓ સંસ્કારજગતમાં નામના પામે તેવા થયા.ગીજુભાઇ તો નિવૃત્ત થયા ત્યારે ભારતીય દૂરદર્શનના ડાઇરેક્ટર જનરલ હતા. તેમના પુત્ર સનત વ્યાસ મંબઇમાં ગુજરાતી રંગભૂમિના નામાંકિત કલાકાર છે,

આ પોસ્ટમાં જે કિસ્સો લખ્યો છે તે પણ ત્રણ પેઢી પહેલાંના અમારા જ્ઞાતિબંધુઓનો જ છે.કન્યાવિક્રયના ચલણને કારણે અપરિણિત રહેલા એવા એ બંધુઓને મેં મારા સાવ નાનપણમાં અમરેલીમાં જોયેલા. પણ આ કિસ્સાની વધુ રસપ્રદ વાત એ છે કે :સંદેશની મારી કટાર ઝબકાર અંતર્ગત મારું આ લખાણ પ્રગટ થયું ત્યારે એ વખતે છેલ્લા બે-ત્રણ વર્ષથી જેમને હું બહુ ગમવા માંડ્યો હતો એવા દુરારાધ્ય સાહિત્યકાર ચં.ચી.મહેતાને આખી વાત ગમી ગઇ અને તેમણે મને પત્ર લખીને એની પરથી રેડિયો નાટક બનાવવાની મંજુરી માગી. મને એથી બહુ સુખ પહોચ્યું પણ ભારે સંકોચ એ વાતે થઇ આવ્યો કે એમને મંજુરી આપનાર હું તે કોણ ? પણ કાનુની ઔપચારીકતા પૂરી કરવા ખાતર દેવી પડી( તેમનો પત્ર અને મારો મંજુરીપત્ર આ સાથે મુક્યા છે)

(મંજૂરી માંગતો  પત્રનો અંશ)


પરવાનગી માગતો ચં.ચી.મહેતાનો  આખો પત્ર 

....અને મારો મંજૂરીપત્ર 


એ પછી એ નાટક બન્યું. પણ મઝાની વાત એ થઇ કે ગીજુભાઇ વ્યાસને કહીને મેં એ વાત ચં,ચી મહેતા સુધી પહોંચાડી કે આ  વાત મૂળ અમારી બન્નેની જ્ઞાતિની છે. ચં ચી તે પછી મને વડોદરામા મળ્યા ત્યારે મશ્કરી કરેલી કે પૂર્વજન્મના આ બન્ને ભાઇઓ તે તમે બે તો નહિં ? )