Sunday, November 20, 2011

એક સાલ,તીન મૌસમ,અંદાઝ તીન (ભાગ:૧)

દોસ્ત, તારો ચહેરો તો આટલો હસમુખો છે તો તારી અટક આમ ઉદાસ શા માટે ?”

1967ની સાલમાં મેં મારી સામે ઉભેલા છોકરડા જુવાન ક્લાર્કને પૂછ્યું હતું. સ્મિત કર્યા વગર જવાબ નહીં આપવો એવો એનો નિયમ હશે, એટલે એણે મીઠું સ્મિત કર્યું.કહ્યું: મારી અટક ઉદાસ નહીં, ઉધાસ છે.

નિર્મળ ઉધાસ 

મનેય યાદ આવ્યું. ઉધાસ તો નહિં પણ ઉઢાસ અટકવાળો ક છોકરો  વર્ષો પહેલાં એટલે કે 1948-50 ના ગાળામાં જેતપુરની તાલુકા પ્રાથમિક શાળામાં હતો ખરો, પણ એ તો આગળ જતાં પોલિસ કૉન્સ્ટેબલ બની ગયો હતો. પછી બીજો એક  છોકરો મારાથી એકાદ-બે વર્ગ પાછળ ભણતો હતો. એની અટક પણ કાંઇક આવી જ હતી.અચ્છા,સહકારી ખાતાના એક મોટા અધિકારીની અટક પણ એ જ હતી. એટલે આવી અટકો-દેવીપુત્ર કહેવાતી જન્મજાત સુરીલું ગળું અને કહેણીની છટા ધરાવતી ચારણ જ્ઞાતિમાં હોય છે એ પણ મને યાદ આવ્યું. મારા સમયમાં મારાથી પાછળના ધોરણમાં ભણનારા છોકરાનું નામ.

        મેં કહ્યુંમનહર ઉધાસ કરીને એક છોકરો....

        એની એટલે કે નિર્મળની આંખોમાં ખુશીનો ઝબકારો થયો. એ મારા મોટાભાઈ....

        અચ્છા તો આ લોકો પણ જેતપુરના ! (એટલે કે જેતપુરની પાસેના ચરખડી ગામના) મને આનંદ થયો. એમ ? ક્યાં છે એ ? શું કરે છે ?’

        મુંબઇ છે.... આમ તો નોકરી કરે છે પણ.... એ બોલતાં બોલતાં અટકી ગયો. અમારી વચ્ચે આ વાતચીત ચાલતી હતી ત્યાં જ બીજો એક મિત્ર વચ્ચે બોલ્યો. તમે જાણો છો સાહેબ, આ નિર્મળ ઘણું સરસ ગાય છે.

નિર્મળ ઉધાસની નિર્મળ આંખોમાં જરી ચમકારો આવ્યો. એણે એટલું જ કહ્યું, અમે બધા ભાઇઓ ગાઇએ છીએ,મારા મોટાભાઇ મનહરભાઇ બહુ ફાઇન ગાય છે. ફિલ્મોમાં આવવાની કોશિશ કરે છે. કલ્યાણજી આણંદજી અને ઉષા ખન્ના સાથે વાતચીત ચાલે છે.

‘ઠીક છે’  મેં નિર્મળને કહ્યું. એમને ક્યારેક સાંભળીશું. મારે તને તો  સાંભળવો જ પડશે. આપણને બી સાંભળવાનો શોખ ખરો.  

ખરેખર બપોરે બેન્કની રિસેસમાં એ મારી પાસે આવ્યો.મારા ટેબલની ધાર  ઉપર અધુકડો બેઠો.કહ્યું : નવું ગીત છે સાહેબ.  ઉપકાર ફિલ્મની રેકોર્ડ બહાર નથી પડી? સંભળાવું ?

મેં જરી ડોકી નમાવી કે એણે શરૂ કરી જ દીધું, કસમે વાદે પ્યાર વફા સબ.... બાતેં હૈં બાતોં કા ક્યા ?’ ખૂબ જ વિલંબિત સૂરે ગાયું. મને સુધરહી કે મૂળ ત્રણ મિનિટના એ ગીતના એના ગાનમાં પાંચ મિનિટ ક્યાં પસાર થઈ ગઈ?  ખૂબ ઘુંટાયેલો અને અપીલીંગ અવાજ હતો.. હથેળીથી ટેબલ પર થાપી દઇ દઇને એ ખૂબ તાલમાં ગાતો હતો. ગાતી વખતે ગીતમાં ખોવાઈ જતો હતો. એનો સ્વર કાનની અંદર થઈને હૃદયમાં ઉતરી જતો હતો. અદ્દભુત હતું. ખરેખર એ અદ્દભુત હતું.નવાઇની વાત હતી કે મન્ના ડેનું એ મૂળ ગીત તો મેં હજુ સાંભળ્યું જ નહોતું. હું તરબોળ થઈ ગયો એના કંઠ, લય અને અદાયગીમાં.

બહુ સરસ. બહુ સરસ મેં કહ્યું, આવું સરસ તું ગાય છે એની મને કલ્પના નહિ. તારી સાથે હારમોનિયમ અને તબલાની સંગત હોય તો તો તું ટાઉનહૉલમાં પણ પોગ્રામ આપી શકે.

        પણ સાહેબ, ખુશ તો થયો જ પણ સાથે સાથે એના ગોરા ચહેરા ઉપર એક બીજો જ ભાવ પણ આવ્યો. હતો તો એ ખુશીનો જ પણ કઈ રીતની ખુશી ? એ બોલ્યો : મારા મોટાભાઈ મનહરભાઈ આથી પણ સરસ ગાય છે. તમે એમને પણ સાંભળજો. આજકાલમાં એ પણ અહીં રાજકોટ આવવાના છે.

        પણ તું.....

        એ સરસ ગાય છે. તમે સાંભળજો તો ખરા.

        થોડા દિવસ પછી એક વરસાદી સાંજે એ મારે ઘેર આવ્યો. સાથે એના મોટાભાઇ તો નહિં પણ એક બીજો કોમળ ચહેરાવાળો પંદર-સોળ વર્ષનો દૂધમલીયો છોકરો પણ હતો. એ કોણ હતો એની મને ખબર નહોતી. પણ આવતાંવેંત  નિર્મળે  કહ્યું. આજે રાતે મારા કાકાને ત્યાં મારા મોટાભાઈનો કાર્યક્રમ છે. માત્ર અંગત ભાઇબંધો માટે જ છે.તમે જરૂર આવજો.

પંકજ ઉધાસ 

        થેંક્સ મેં કહ્યું :જરૂર આવીશ....પણ આ તારી સાથે કોણ છે ?”

            “મારો નાનો ભાઈ પંકજ. એ પણ સરસ ગાય છે.

        ત્રણે ય ભાઇઓના સંદર્ભમાંસરસનો અર્થ મને હવે સમજાઈ ગયો હતો.  મેં પંકજ તરફ જોયું,કહ્યું : ‘દોસ, તું પણ કંઈ સંભળાવને ?’

            એ વખતે એકાએક વીજળી ગઈ.અંધારું થઇ ગયું, હું તો એક સાવ નાની ખોલીમાં રહેતો હતો એટલે મીણબત્તી શોધતાં વાર ના લાગી. સળગાવી. ઝાંખા પ્રકાશમાં નજીક પડેલા લોટના ડબ્બા ઉપર તાલ દઈ દઈને પંકજે કેટલાક ગીતો ગાયાં. ગઝલો ગાઈ. મઝા આવી ગઈ. અવાજ તો એનો પણ મંજાયેલો હતો. પણ એ ઉમરે હજુ ઘુંટાતો આવતો હતો.

બીજી રાતે માત્ર પંદર-વીસ જણની હાજરીમાં તદ્દન નાનકડા ઓરડામાં નિર્મળે સૌને ઓળખાણ કરાવી. ‘આ મારા મોટાભાઈ મનહરભાઇ ઉધાસ છે. હમણાં  ઉષાજી (ઉષા ખન્ના)એ એમની પાસે ફરેબનું એક ડ્યુએટ ગવડાવ્યું છે.  હટા દે ઘુંઘટ. દિખા દે મુખડા ચાંદ સે ભી ઉજલા અને  કલ્યાણજી-આણંદજીએ પણ વિશ્વાસનું ગીત ગવડાવ્યું છે. આપસે હમ કો બીછડે હૂએ, એક જમાના બીત ગયા’ આપણે એમને સાંભળીએ.

 એ સોહામણા-માસૂમ ચહેરાવાળા યુવાને હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું. જોઈને તરત થયું કે તો ફિલ્મોમાં હીરો થવાને લાયક છે. કોઈ ચિત્રકારને ચિત્રમાં સૌજન્ય ચિતરવું હોય તો મનહર ઉધાસનો ચહેરો ચિતરવો જોઈએ. એની વાણીમાં પણ એવી જ મૃદુતા હતી. એણે હારમોનિયમ પર આંગળીઓ ફેરવીને ગાવાનું શરું કર્યું : ‘કસમે વાદે પ્યાર વફા, સબ બાતેં હૈ બાતોં કા ક્યા ?’

            બહુ સરસ ગવાતું હતું. તાલીમી ગળું હતું. ઉર્દૂ ઉચ્ચારો પણ શુદ્ધ હતા. વાહ વાહ બોલાઇ જ જવાય. પણ એની સમાંતરે જ મારા કાનમાં નિર્મળે અમારી બેન્કમાં ગાયેલા એ જ ગીતમાં નિર્મળનો કંઠ પણ ગુંજતો હતો. ઘુંટાયેલો. બુલંદ છતાં આર્જવભર્યો એ કંઠ. બન્ને સુરીલા, પણ બન્ને આગવા.

મનહર ઉધાસ 

એ પછી મનહરે ઘણાં ગીતો ગાયાં. પ્રથમ ગીત સિવાય બાકી બીજા બધાં-મોટે ભાગે મુકેશનાં હતાં. ખુદ એમણે પોતે ગાયેલા ફરેબના ગીતની  અને વિશ્વાસના  ગીત પાછળના ઇતિહાસની વાત પણ કરી. આપસે હમકો બીછડે હૂએ મુકેશની ગેરહાજરીમાં મનહરભાઇએ ગાયું હતું પણ એટલું સરસ ગાયું હતું કે ખુદ મુકેશે એને પસંદ કર્યું હતું અને પોતાના અવાજ વડે એને ‘રિપ્લેસ’ કરવાની કોઇ જરૂર નથી એમ કહ્યું હતું.

        ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે, મેં નિર્મળને કહ્યું : પણ દોસ્ત તારી પાસે પણ તારો પોતાનો આગવો અવાજ છે... તું કેમ ટ્રાય કરતો નથી ફિલ્મોમાં ?’

        મનહરભાઈનું ગળું તમને કેવું લાગ્યું?” એણે પૂછ્યું.

        ખૂબ સુંદર. ખૂબ જ ટ્રેઇન્ડ..... પણ તારું ગળું પણ કાંઇ કમ નથી.એટલું જ સરસ છે’

        મોટાભાઈ હજી પોતાની જગ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનાવે છે. એ બોલ્યો. એ ત્યાં હોય એટલે આપણે જ છીએ ને ? કેમ, બરાબરને ?”

**** **** ****

        એ પછી તરત-1968ના અંતમાં-નિર્મળ પણ નોકરી છોડીને મુંબઇ જતો રહ્યો.એના સ્ટેજ શો થતા રહ્યા. પણ મને ખબર નથી કે એને  મુંબઇના ફિલ્મ સંગીત જગતમાં સ્થાન મેળવવાની ઉમેદ હશે કે કેમ ? પણ એને નાણાની જરૂર ખાસ્સી હશે એમ લાગે છે. 

આ  સાથે મૂકેલા એના પત્રમાં છેવટનું બોનસ મેળવીને એને મોકલી આપવાનું કામ એણે મને સોંપ્યું છે. જો કે નોકરી છોડી ગયા  છતાં અમારા વચ્ચેનો સંબંધ ચાલુ રહ્યો. કારણકે અમારી એ બેન્કમાં સંગીત રસિયા કોઇ જ નહોતા. એ પત્રમાં એ લખે જ છે કે મારે ઓફિસમાં કોઇ જોડે સંબંધ નથી એટલે તો એક ગાયક  અને એક શ્રોતાની બનેલી અમારી ટીમ જામી ગઇ હતી. એ સંબંધને લીધે તો મારે મુંબઇ જવાનું થતું તો ઉતારો તો એને ત્યાં જ રહેતો. એના દરેક પત્રમાં એનો બંધુપ્રેમ અવશ્ય છલકાતો હતો. જેમ કે મનહરભાઈ પાસે નૌશાદજી પણ ગવડાવવા માગે છે. સાથી’ ફિલ્મમાં એને ચાર લાઇનો ગાવા માટે આપી છે.
  હું પત્ર લખતો, મનહરભાઇને અભિનંદન .પણ તારી પ્રગતિ પણ જણાવજે....

એક વાર એનો પત્ર આવ્યો : પૂરબ ઔર પશ્ચિમમાં એક આરતીમાં મનોજકુમારે મનહરભાઈને ચાન્સ આપ્યો. તમે છાપાઓમાં વાંચ્યું ?”

        1970માં એક વાર હું મુંબઇ ગયો. ત્યાં ત્રણે ભાઇઓ અને માતા જીતુબા વૉર્ડન રોડ (હવે ભૂલાભાઇ દેસાઇ રોડ) ઉપર આવેલા ગીતાભવનના ફ્લેટસમાં પાંચમા માળે જ રહેતા હતા, જ્યાં એકાદ માળ ઉપર કે નીચે કલાકાર દિનેશ હિંગુ રહેતા હતા.  નિર્મળના આગ્રહથી મારો ઉતારો પણ ત્યાં જ રહ્યો.  ઘરમાં પગ મુકતાંની સાથે મારો પ્રશ્ન એ હતો કે તારી શી પ્રગતિ છે, આજકાલ ?’  તો જવાબમાં એ બોલ્યો : આજે મનહરભાઈના ગુજરાતી ફિલ્મ જિગર અને અમીના એક ગીતનું રેકોર્ડીંગ છે. ચાલો મારી સાથે.

  હું, મનહર અને નિર્મળ ત્રણ સાથે જ રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ગયા. સંગીતકાર તરીકે મહેશકુમાર ત્યાં જ હતા. ગીતલેખક કાંતિ અશોક પણ ત્યાં જ હતા. ગીતના શબ્દો હતા ‘ મારી પરવશ આંખો તરસે, રૂપ માઝા મુકીને વરસે’  આખો દિવસ રેકોર્ડીંગ ચાલ્યું. બધાએ ગીત ઓ.કે. કર્યા છતાં મનહર પોતાને સંતોષ ના થાય ત્યાં  સુધી રી-ટેક કરતા જ રહ્યા. નિર્મળના ચહેરા ઉપર ખુશી સમાતી નહોતી. મને યાદ છે કે મના માતાપિતા પણ રેકોર્ડીંગ જોવા આવ્યા હતા. મનહર હવે ખરેખર ફિલ્મના હીરો લાગતાતા. એણે માતાપિતાને પ્રણામ કર્યા. નાનાભાઈ નિર્મળે એમને ખભે હાથ મૂક્યો. પ્રસન્નતાપૂર્વક કશું એના કાનમાં કહ્યું. રેકોર્ડીંગ પૂરું થયા પછી સૌએ મનહરને ફુલહાર કર્યા. મેં જોયું તો નિર્મળની આંખોમાં ખુશીનાં ઝળઝળિયાં હતાં.
મનહરભાઇ એ દિવસોમાં અલબત્ત વ્યસ્ત રહેતા હતા પણ એમણે નિર્મળને એક ઓળખાણ એવી કરાવી આપી હતી કે જે એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધે ફેરવી શકે. એ હતો ધન્નાલાલ કે જે દેવ આનંદનો પાંચમા-છઠ્ઠા ક્રમનો સેકેટરી હતો. અને દેવ આનંદની દરેક ફિલ્મમાં નાના નાના રૉલ પણ કરતો હતો. ( એના અતિ કરૂણ અંજામની વાત ફરી ક્યારેક.) એ રતલામનો હતો અને એક્ટર બનવાની લાલસાથી મુંબઇ આવ્યો હતો. દિલિપકુમારને મળતા ચહેરાવાળો એ શ્યામવર્ણો માણસ છેવટે દેવ આનંદનો સેક્રેટરી બનીને રહ્યો હતો..હું મુંબઇ જાઉં ત્યારે મારું કામ પતાવ્યા પછી બાકીનો સમય હું અને નિર્મળ સ્ટુડીઓમાં જઇને શૂટિંગ જોવામાં પસાર કરતા. એમાં ધન્નાલાલ અમને બહુ ઉપયોગી નિવડતો. એણે એક વાર ફિલ્મીસ્તાન સ્ટુડીઓમાં અમને જહોની મેરા નામનું શૂટિંગ બતાવ્યું હતું જેમાં દેવ આનંદને એક ખુરશીમાં બંધક બનાવીને પ્રાણ એમને મુક્કા મારતા હતા. આગળ જતાં એકવાર પ્યાર કા મૌસમ’નું પણ શૂટિંગ બતાવ્યું હતું. જેમાં ધન્નાલાલનો પણ નાનો એવો રોલ હતો. એણે અમને એક વાર સ્ટૂડીઓના નાનકડા રેસ્ટ રૂમમાં એક કૃશકાય અને ચીમળાયેલા ચહેરાવાળા માણસનો ઑટોગ્રાફ લેવાનુ  સૂચન કર્યું. મને કહ્યું બહુત નામી આર્ટિસ્ટ હૈ. લે લો, લે લો ઑટોગ્રાફ યાર,વો ભી ખુશ હોગા. હું ઓળખી તો શક્યો નહિં કે એ કોણ છે, કારણ કે મારું ધ્યાન શશી કપુરને જોવામાં હતું કે જે બેફિકરાઇથી ભોંયે પડીને પાથરણા વગર જ કોણીને ટેકે આરામ ફરમાવતા હતા. પેલા ચીમળાયેલા ચહેરાવાળા મેઇક અપ વિના પણ તદ્દન સફેદ વાળવાળા એકટરનો ઑટોગ્રાફ મેં અને નિર્મળે બન્નેએ બેમનથી લીધો પણ પછી જ્યારે તેમની સહિ વાંચી ત્યારે ખબર પડી કે એ ભારત ભુષણ હતા!  એમનો પણ પ્યારકા મૌસમમાં એક મામુલી રોલ હતો..
મુંબઇની એવી અનેક મુલાકાતો પછી અમારું મળવાનું ધીરે ધીરે ઓછું થવા માંડ્યું. એ પછી કોઇ કોઇ મિત્રો દ્વારા ખબર પડતા રહ્યા કે મનહર ઉધાસ ભારે લગન વડે  સફળતાની કેડીએ ચડી રહ્યા છે. પણ દર વખતે મને નિર્મળના એવા સમાચાર મેળવવાની તાલાવેલી રહેતી હતી. પણ એવા ખાસ સમાચાર મળતા નહોતા કે જે મારે જોઇતા હતા. 1974ની આસપાસ બેશક એવી ખબર પડી હતી કે  ત્રણે ભાઇઓએ સાથે મળીને થ્રી ફેબ્યુલસ સિંગર્સ ના બેનર નીચે સ્ટેજ શૉ શરુ કર્યા હતા. એ પછી મિત્ર ભુપેન્દ્ર વસાવડાએ એવી માહિતી પણ આપી કે નિર્મળે મરીન લાઇન્સમાં આવેલી ટૉક ઓફ ધ ટાઉન માં આગંતુકો સમક્ષ ગાવાની નોકરી સ્વિકારી લીધી હતી. જો કે પાછળથી એણે પોતે કહ્યા પ્રમાણે આ જ ગાળામાં એને ફિલ્મોમાં ગાવાની તક આપી શકે તેવા  કલ્યાણજી-આણંદજી, શંકર-જયકિસન અને ઉષા ખન્ના જેવા સંગીત દિગ્દર્શકો સાથે સંબંધો કેળવાયા હતા.પણ એ સંબંધો હજુ જ્યારે મહારથી ગાયકોનો જમાનો આથમ્યો નહોતો એવા દિવસોમાં ફળદ્રૂપ નિવડ્યા નહોતા.
અમારી વચ્ચે પત્રવ્યવહાર પણ ખોરવાઇ ગયો. જાણવા મળતું હતું કે એણે પછી યુગની માંગ પ્રમાણે ગઝલગાયકી તરફ રૂખ કરી દીધી. 

સી.બી.એસ. જેવી જાણીતી કંપનીએ એનું "નઝાકત નામનું પહેલું ગઝલ-આલ્બમ જારી કર્યું જે માત્ર થોડા રસજ્ઞો સુધી જ પહોંચ્યું. એને ફિલ્મોમાં ગાતો જોવાની મને બહુ ભીતરી ઝંખના હતી કારણ કે એનો કંઠ,એની ગાયકી અને તાલીમ એ વખતે નવા આવેલા ગાયકો કરતા ઘણી વધુ આલા હતી.એવો મારો જ નહિં ઘણા જાણકાર શ્રોતાઓનો પણ અભિપ્રાય હતો. મારી આ ઉમેદ વ્યક્ત કરવા માટે પત્ર લખવાનું મારાથી બનતું નહોતું.કદાચ એમ બને કે હું સાચો હોત તો આ બધા નામી સંગીતકારોએ એને મોકો  ના આપ્યો હોત ? એવા ખ્યાલે મને પત્ર લખવા નાહિમંત કરી દીધો હોય. જો કે  મારા સરનામા અને નોકરી પણ બદલાયાં હતાં.જિંદગીની કારૂણીએ મને અનેક અનેક મોરચે લડતો રાખી દીધો હતો . એમાં ક્યાંય યુધ્ધવિરામ આવે તો હું મિત્રો તરફ નજર દોડાવું ને ?

આ બધા વર્ષો દરમ્યાન મનહરે ખરેખર પોતાનું સ્થાન બનાવી લીધું છે અને ભાઇને પણ સાથે રાખવામાં કસર ના છોડી. કુરબાની ના ગીત હમ તુમ્હે ચાહતે હૈ માટે એને ગોલ્ડન ડીસ્ક મળી. આપ તો ઐસે ન થેમાં અને બીજી અનેક ફિલ્મોમાં ને પોતાની પ્રતિભા દર્શાવવાની તકો મળી.  કુરબાનીનું ગીત સાંભળીને મને તો એમ જ લાગ્યું કે મૂકેશે જ નવો કુમળી વયના અવાજવાળો અવતાર લીધો છે. એમાં ખબર પડી કે મૂકેશનાં અપ્રાપ્ય એવાં ગીતોની મનહરે ગાયેલી એલ.પી.અને કેસેટો બહાર પડી છે.

        પણ નિર્મળ ? એ ક્યાં હતો ?મારા મનમાં વારંવાર એક સણકાની જેમ એ સવાલ માથું કાઢતો હતો.ને મને ઉદાસ કરી દેતો હતો. એમાં એકવાર અચાનક એના સગડ મળ્યા. બોમ્બેના એરપોર્ટ પર પ્રેમાનારાયણ વગેરે સાથે એ નહોતો પણ મનહરની  મુલાકાત થઈ ગઈ. મેં એમને પૂછ્યું તો બોલ્યા : ઘેર આવજો, ઘણા વખતથી મળ્યા નથી, નિર્મળ પણ તમને યાદ કરે છે.

એનો અર્થ એટલો કે એ મુંબઇમાં જ હતો. એટલે એ પછી એક વાર ગીતાભવન  ગયો ત્યારે મનહર રેકોર્ડીંગમાં જવાની ઉતાવળમાં હતા. મને અલપઝલપ મળીને એ ગયા. પણ મારે તો નિર્મળનું કામ હતું. એના આવા સરસ કંઠનું શું થયું ?

        એ મળ્યો. ખૂબ પ્રેમથી મળ્યો. મનહરભાઈનાં અનેક આલ્બમો એણે બતાવ્યાં.

નિર્મળ ઉધાસ 

        તારે કેમનું છે દોસ્ત? એવા મારા પ્રશ્નના જવાબમાં એણે બિલકુલ વજન વગરના અવાજે કહ્યું કે એક-બે સંગીત-દિગ્દર્શકો સાથે હવે તો પાકે પાયે વાતચીત ચાલે છે. પણ હજુ કશું  ફાઇનલ થતું નથી. હા, મનહરભાઈ સાથે વિદેશના પ્રવાસે જઈ આવ્યો. સાથે માલાજી (માલા સિન્હા) પણ હતાં. એમની સાથે સ્ટેજ પર ઘણા ગીતો ગાયાં. એણે ઢગલાબંધ રંગીન ફોટોગ્રાફ્સ બતાવ્યા. મિત્રોને ત્યાં યજમાનોને ત્યાં,સ્ટેજ પર, નાનામોટા શહેરોમાં ... મનહરભાઈ પછી નિર્મળ ગાતો હતો. લોકોની તાલીઓ પામતો હતો.

ફરી એકવાર એ મળ્યો ત્યારે મેં પૂછ્યું તને કેટલા થયા ?
એણે કહ્યું: પાંત્રીસ!
અરે યાર! બીજી બધી વાત છોડ મેં કહ્યું: એ કહે કે  તેં લગ્ન કર્યાં કે નહીં ?”
નથી કર્યા હજુ. એ વાત ખાઈ જઈને બોલ્યો :‘પણ  એ જવા દો. તમે મારા નાનાભાઈ પંકજની ગઝલો સાંભળી ? ગઝલોમાં આજે એનું નામ છે.

            “મને ખબર છે ખૂબ પ્રખ્યાત થઇ રહ્યા છે એ , આપણને ગૌરવ લેવા જેવું છે મેં કહ્યું : પણ તું ? તું ક્યારે બહાર આવે છે ?” મેં પૂછ્યું.

        કિસ્મત દરવાજા ખોલે ત્યારે ! એણે હસીને કહ્યું.

એ વખતે તો અમે માત્ર ફ્લેટનો દરવાજો ખોલ્યો.બહાર નીકળ્યા.

(ક્રમશ:) 

1 comment:

  1. ભારતના ફિલ્મ ઉદ્યોગમાં જેમ ખુશામતખોર ચમચાઓનું રાજ ચાલે છે
    તેમ જેને આપણે નસીબનું પાંદડું ગણીએ છીએ તેનું ચલણ પણ ઓછું નથી!! આપણાં દેશમાં કામની કે કલાની કદર કરતા લોકોની હંમેશ તંગી રહી છે!! દાખલાઓ ઘણા છે જે લોકો દેશમાં નથી ફાવ્યા અને નામના નથી કાઢી શક્યા તે લોકોએ વિદેશમાં જઈને જથ્થાબંધ કમાણી કરી ને નામ કાઢ્યું છે તેવાતે તમે પણ કબુલ કરશો.
    નિર્મળ ઉધાસ બેશક સારા ગાયક છે પણ તેઓ જે કોમમાંથી આવે છે તેવી રીતે તેમને ભાટાઈ નથી કરી(ચારણ/બારોટ કોમનું કામજ લોકોની શૂરવીરતાને પાનો ચઢાવવાનું) જે નિર્મળ ઉધાસ નાં કરી શકયા,તે તેમને સારું કર્યું પણ તમને બીજા નવા ગાયકોની જેમ 'ચાંદી'માં ના'વાનું ના મળ્યું,પણ તેમણે પોતાનું 'સ્વમાન' પોતાનું કર્યું એજ સાચી સફળતા તેમની કહેવાય.
    તેમણે પણ ઘણાં 'તરફડિયાં' મારવા પડ્યાં હશે તેતો જયારે તે લખે ત્યારે ખબર પડે!

    ReplyDelete