Tuesday, July 21, 2015

ધન ધન ધનબાઈ ! (૧)

જેનો અવાજ મીઠો હોય એ પ્રાર્થના ગાય.

ગાંધીજીએ આમ કહેલું. 1922ની આજુબાજુની કોઈ સાલ હશે. ગાંધીજી આમ બોલ્યા એટલે એક ભાઈ ઊભા થયા. સૌને એમ કે એ પોતાની જાતને તાનસેન માનતા હશે. હમણાં કાંઈક ઊંડા અંધારેથી.... જેવું ગાશે. પણ ભાઈ માત્ર આંગળીના ચીઁધનાર નીકળ્યા. ખૂણામાં માનમર્યાદાભેર સાડીનો સંગઠો તાણીને એક નવવધૂ બેઠેલી એના તરફ આંગળી ચીંધી બોલ્યા : બાપુજી, આપની પૂછવાની રીત જ ખોટી છે. કોઈ જાતે ઊઠીને કહેવાનું છે કે મારો રાગ મીઠો, ને હું જ ગાઉં ? લો, આ બેન બેઠી ને નામ એનું ધનબાઈ. એના જેવું સુંદર કોઈ ગાઈ શકવાનું નથી.
'જેનો અવાજ મીઠો હોય
એ પ્રાર્થના ગાય.' 
      ગાંધીજીએ ધનબાઈ સામે જોયું, ને ધનબાઈ શરમાઈને નીચું જોઈ ગયાં. ગાંધીજી કહે : ‘બહેન, તમને અમારી પ્રાર્થના છે કે તમે પ્રાર્થના ગાઓ. ચાલો.....
      ઊભાં થઈને તેઓ ગાંધીજીની નજીક એમની બેઠક પાસે આવ્યાં અને ધીમા, મધુર હલકાભર્યા સ્વરે ભજન શરૂ કર્યું : મારી નાવ તમારે હાથ હરિ સંભાળજો રે..... સત્યાસત્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું.....
      ગાંધીજી એકકાન થઈને ભજન સાંભળી રહ્યા અને ધનબાઈના મુખભાવને અવલોકી રહ્યા. સત્યાસત્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું ગાતી વખતે શબ્દો માત્ર સંગીતમાં જ નહીં, પણ મુખભાવમાં વ્યક્ત થઈને એમના મોં પર છવાઈ જતા હતા. ભજન, પ્રાર્થના, ગીત બધા આ જ તદ્રૂપતાથી ગાવા માટે રચનારે રચ્યાં હોય છે, કારણ કે લખતી વખતે એ એનામાં એકલીન થઈ ગયો હોય છે. પછી ગાનાર માત્ર આવડત બતાવવાના હેતુથી જ ગાય એટલે શબ્દોનો ચાર્મ ગૌણ બની જાય. પછી સાંભળનાર પાસે માત્ર ગાનારની ગાયનકલા પહોંચે, કવિનું કર્મ ન પહોંચે, આ ધનબાઈ જાણે કે પોતે જ એ ગીત રચ્યું હોય, પોતે જ પોતાને માટે, પોતાની પીડાને વ્યક્ત કરવા જ એનો ઢાળ બેસાડ્યો હોય એમ ગાતી હતી. ગાંધીજી ભીંજાઈ ગયા. ભજન પૂરું થયું, એટલે બોલ્યા : રોજે રોજ ગાવા આવતાં રહેજો, બહેન! પ્રભુ તમારું ભજન સાંભળે છે.
      પણ બીજે દિવસે ધનબાઈ આવ્યાં નહીં. ત્રીજે દિવસે પણ નહીં. આમ ને આમ ચાર-છ દિવસનો ખાડો પડ્યો, એટલે ગાંધીજીએ પેલા જાણકાર ભાઈ પાસેથી ધનબાઈનું સરનામું મેળવ્યું. હુબલી ગામમાં જ ધનલક્ષ્મીબેન એમને સાસરે બહોળા કુટુંબ વચ્ચે રહેતા હતાં. ચિઠ્ઠી ત્યાં પહોંચી : બહેન, અમે સૌ તારા કંઠે ભજન સાંભળવાને સારુ રોજ તારી રાહ જોઈએ છીએ. આવી જા. લિ. બાપુ. આ ચિઠ્ઠી ત્યાં પહોંચી તે જાણે કોઈ પરપુરુષની ચિઠ્ઠી યારી માટે આવી હોય એમ ઘરમાં ઉલ્કાપાત થઈ ગયો. ગાંધીજીને સૌ ઓળખે ને ઘરનાં સૌ એમની સભામાં પણ જાય. પણ એ આમ ઘરની વહુને બોલાવતી ચિઠ્ઠી લખે ! અને નાની વહુથી ઘરમાં પણ સાદ કાઢીને બોલાય નહીં, ત્યાં વલી ભરસભામાં રાગડા તાણીને ગવાય ? ઘોર કળજુગ ! ઘરમાં મહાભારત થઈ ગયું ! ને પતિ હીરજીભાઈએ તો મારવા જ લીધી ! આમ છતાં એક દિવસ કંઈક ઓઠું લઈને ધનબાઈ ગાંધીજી પાસે પહોંચ્યાં. સભામાં અધવચ્ચે જઈને બેઠાં, ને સભા પૂરી થયે ભજન પણ ગાઈ દીધું. પણ છેલ્લી લીટી વખતે સ્વર લથડી ગયો અને છુટ્ટા મોંએ રડી પડ્યાં. સભામાં સન્નાટો છવાઈ ગયો.
        સૌ વિખેરાયા ત્યારે ગાંધીજીએ ધનબાઈને નજીક બોલાવી પૂછ્યું : તું કોણ છો, બહેન ? આમ રડી કેમ પડી ? શું દુઃખ છે તારે ?
        અહીં હુબલી મારું સાસરું છે, બાપુ. ધનબાઈ બોલ્યાં : ને જલગાંવમાં સને ઓગણીસો ને આઠમાં જન્મી છું. મારા બાપ ટોકરશી લાલજી કપાસના મોટા વેપારી છે. મારી મા મારી નાની ઉંમરમાં ગુજરી ગઈ છે અને અત્યારે મને પંદરમું ચાલે છે.
        હા એ બોલ્યાં : એનો વાંધો નથી. પણ.... એ અધૂરા વાક્યમાં એનો આખો પીડાકાંડ હતો. કેટલોક કહેવાય એવો, કેટલોક ના કહેવાય એવો. કથળેલી આર્થિક સ્થિતિના બાપે કરિયાવરમાં તો કાંઈ કહેવાપણું રાખ્યું નહોતું, પણ એની કઠણાઈને એ નિવારી શક્યા નહીં. પરણીને સાસરે આવ્યાં એ જ રાતે એમણે ભયના માર્યાં નણંદને સાંજથી જ સાથે સુવાડી રાખી હતી. પણ એ ઉપલા માળના જૂના પલંગમાંથી એ પછી મધરાતે નણંદ વિદાય થઈ ગઈ અને ભડોભડ બારણાં ભીડતાં પતિદેવ અંદર પધાર્યા હતા ! ચૌદ વરસની ધનબાઈના શરીરમાં ગભરાટની ધ્રુજારી ફરી વળી. એની કન્યાવિદાયના પ્રસંગે એના પિતા બેભાન થઈ ગયા હતા એ યાદ આવી ગયું અને એ ખુદ બેભાન થઈ જશે એમ એને લાગ્યું. પણ વંટોળની જેમ ધસી આવનાર પતિને એના મનને ખોલવાની કોઈ જ જરૂર નહોતી લાગી. ધનબાઈ એને મન રાતના રમકડાથી વિશેષ કશું જ નહોતી. એ આવીને સીધી જ ઝાપટ મારવા ગયા, ત્યાં ધનબાઈ સડાક કરતાં ઊભા થઈ ગયાં ને બારણા તરફ દોટ મૂકી. પતિનો મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. તારી આ હિંમત ? એમણે કહ્યું ને હાથ પકડીને પાછી ઘસડીને પત્નીને પલંગમાં ગાદલાનો ઘા કરે એમ ઘા કરીને ફેંકી. વળી બરાડીને બોલ્યા : આમ ભાગાભાગી કરતાં શરમ નથી આવતી, બેશરમ?’
        આ પછી જે થયું તેને મધુરજની કેવી રીતે કહેવાય ?
            આવી તો ત્રણ રાત્રિઓ આવી અને ગઈ. ચોથે દિવસે મુંબઈથી કશો તાર આવ્યો અને પતિને મુંબઈ ચાલ્યું જવું પડ્યું. એમની વિદાયથી ધનબાઈના મનમાં એવી ટાઢક થઈ. ધગધગતા કાળા ઉનાળામાં જાણે કે કોઈ લોહારની ભઠ્ઠી પાસેથી ઊભું થયું.
        હા, એક ટાઢક એવી હતી. ધગધગતો ઉનાળો તો રહ્યો જ હતો. માત્ર નજીકથી ભઠ્ઠી દૂર થઈ હતી, જે પળે પળે ચામડી દઝાડતી હતી. એમાં વળી શીતળ પવનની એક લહેરખી પણ આવી. ધનબાઈના પિતા એક-બે દિવસમાં આવ્યા અને કોઈના લગ્નમાં જવાનું હતું એટલે તેડી ગયા.
        ગાંધીજી આટલી વાત સાંભળી રહ્યા. પછી એમની અંદર કરુણાની જે લાગણી ઊભરાઈ ગઈ હતી તેની પર લગીર અંકુશ મૂકી દીધો. જરા ધનબાઈને હળવી માનસિકતામાં લાવવા ખાતર બોલ્યા : ત્યારે તો એટલા દિવસથી તારે સાસરવાસમાંથી પણ મુક્તિ, ખરું ?
        પણ એનાથી તો ઊલટાનું ધનબાઈની આંખો આંસુથી ઊભરાઈ ચાલી. એમણે ગાંધીજીને સામે પૂછ્યું :સાંભળવું છે તમારે ?
        બોલ, બહેન, બોલ.  ગાંધીજી બોલ્યા : બોલ.
        હું જ્યાં મારા પિતા સાથે લગ્નપ્રસંગે ગઈ હતી ત્યાં સ્ત્રી અને પુરુષોના મોટા મોટા અલગ અલગ ઓરડામાં ઉતારાઓ હતા. એ પ્રસંગમાં મારા પતિને પણ આમંત્રણ હતું. હું જે સવારે ગઈ તે જ સવારે મેં એમને પણ જોયા હતા. હું થડકી ગઈ. પણ અંદરથી શાંતિ હતી કે ખેર, આ તો કોઈકને ત્યાં લગ્નપ્રસંગ છે. શું કરી લેવાના છે મને એ ? પણ રાત પડી. મધરાત થઈ. સૌ ઘસઘસાટ સૂઈ ગયા અને હું બીજી સ્ત્રીઓ સાથે અલગ બિછાનામાં સૂતી હતી ત્યાં ચોરપગલે એ આવ્યા અને પગનો અંગૂઠો પકડીને મને જગાડી અને પછી શિયાળો હતો. સૌ ઓઢીને સૂતાં હતાં એટલે કોઈની પરવા કર્યા વગર સાવ પશુની જેમ જ....
        તને બોલતાં પણ શરમ થઈ ગાંધીજી બોલ્યા : ને એને આચરતાં પણ ન થઈ. ખેર, બહેન! ગાંધીજીની આંખમાં આંસુનાં બિંદુ બાઝી ગયાં. કહ્યું : હું આમાં તને મદદ કરું ? પશુના પાશમાંથી છોડાવું ?
        ના. ધનબાઈ બોલ્યા : જેને પરણી છું એ પરમેશ્વર હોય કે પશુ, એમાંથી છૂટવાનો મારો કોઈ ઈરાદો નથી. તમે મને એટલી મદદ કરો કે...
        ગાંધીજી એની સામે જોઈ રહ્યા.
'મને શીખવો કે...' 
        કે મને શીખવો, ધનબાઈએ કહ્યું : દુઃખને સહન કેમ કરવું ? જેમાંથી ઉગાર ન હોય તેને વેઠી લેવાનો ઉપાય શો ? મનને એટલે ઊંચે કેવી રીતે લઈ જવું કે નીચે પેટાવેલા અગ્નિની આંચ પણ આપણને ન લાગે ? મને એ શીખવો કે અંધારામાં કાંડી ન હોય તો પણ રસ્તો કેવી રીતે ફંફોસવો ?
ગાંધીજીએ આંખો મીંચી દીધી. નિઃશ્વાસ નાખીને બોલ્યા : રામનામ.....રામનામ....રામનામ....બીજું કંઈ નહીં, મારી બેન.
        પણ રામનામ ક્યાંથી પ્રગટે, બાપુ ? ધનબાઈ બોલ્યાં : અંદર જ જ્યાં આગ સળગતી હોય અને લાવા ઊકળતો હોય, જ્યાં અંદર હાયકારો થઈ ગયો હોય, ત્યાં હરિનામ ક્યાંથી પ્રગટે ?’    
        એ પ્રગટે શ્રદ્ધાથી. ગાંધીજી બોલ્યા : ને શ્રદ્ધા ક્યાંથી પ્રગટે એ પૂછીશ નહીં. શ્રદ્ધા હોય તો જ બાળક પૃથ્વી પર અવતરે છે. એ શ્રદ્ધા નામનું તત્વ લઈને જ જન્મતાવેંત રડે છે, કે એની મા એનું રુદન સાંભળશે ને મોઢામાં દૂધની સેર છોડશે.
        એ દિવસ પછી ગાંધીજી અને ધનબાઈનો સંગ વધુ વખત રહ્યો નહીં. ગાંધીજી તો રમતા જોગી હતા. હુબલીમાંથી એમનો મુકામ ઊઠી ગયો, ને ધનલક્ષ્મી જિંદગીમાં નવા નવા વણજોયા મુકામ તરફ ચાલ્યાં.
0 0 0

        પતિના હાથમાં ધર્મનું પુસ્તક જોઈને ધનબાઈ બહુ રાજી થયાં. ચાલો, નોકરીધંધો કરતા નથી ને સંગ્રહણીના રોગી થઈને ઘરમાં પડ્યા છે. ને હવે તો હલકામાં હલકી સ્ત્રીઓ સાથેના સંસર્ગથી જાતીય રોગનો પણ ભોગ બન્યા છે. એટલે મતિ સારા માર્ગે વળી હોય. રાજી થવા જેવું છે.
        એમને ઉમળકો આવ્યો. ચાનો પ્યાલો બનાવીને એમની નજીક ગયાં ત્યાં જોયું તો ધાર્મિક પુસ્તકની વચ્ચે ભૂંડા-અશ્લીલ ચિત્રોવાળી કોઈ વિકારી ચોપડી ! પતિ એમાંથી રસ ચૂસતા હતા અને કોઈ બીભત્સ જોડકણાં ધીમા અવાજે ગાતા હતા.
        અરે ! ધનબાઈ બોલ્યાં : આવું વાંચો છો ? આવું ગાઓ છો ? મને તો એમ કે તમે ધાર્મિક પુસ્તકનું વાંચન કરો છો ?
        હવે ચૂપ રહે ! પતિ તાડૂકીને બોલ્યા : તને શી ખબર ? ધર્મના પુસ્તકમાં આવું બધું જ લખ્યું છે. શું હું કાંઈ ગાંડો થઈ ગયો છું ? કે લખ્યું હોય કાંઈક, ને વાંચું કાંઈક ?
        ધનબાઈ ગમ ખાઈ ગયાં. બોલ્યાં : તમારે જે કરવું હોય તે કરો, પણ મહેરબાની કરીને મારા દેહને સ્પર્શ કરશો નહીં. હું હલકી સ્ત્રીઓના રોગ ઉછીના નહીં લઉં.
        તારે મારું હરેક પાપ અને હરેક પુણ્ય ભોગવવું પડે ! ઉન્માદી પતિએ ધાર્મિક પુસ્તક બતાવીને કહ્યું : આ ધરમમાં લખ્યું છે. ચાલ, અત્યારે જ તને પરચો આપું.
        ફરી એક બળાત્કાર !
0 0 0

        થોડા વખતમાં એક સંતાન થયું. પુત્રી સંતાન. પતિદેવ ફરી લાલપીળા થઈ ગયા. તારાં નસીબ, જો મને આડે આવ્યાં. દીકરી થઈ. અરે પિંડદાન આપનાર એકાદ દીકરો તો આપવો હતો !  અરે, અભાગણી, થાય તો તારા પાપની માફી માગીને ભગવાન પાર્શ્વનાથને પ્રાર્થના કર. બાકી હું તો પરમહંસ છું. મારે મને તો બધું સરખું છે.
        એક દિવસ બોલ્યા : તેં મને તને સ્પર્શ કરવાની ના કહી છે ને ! તો જો મેં એનો પણ રસ્તો કાઢ્યો છે.
        શો રસ્તો હશે. ધનબાઈ નાની દીકરીને છાતીએ વળગાડીને વિચારી રહ્યાં. જવાબ બીજે જ દિવસે જોયો. એક સાવ બજારુ સ્ત્રીને લઈને પતિ ઘેર આવ્યા....અને ધનબાઈની અને નાની અબુધ બાળકીની સામે જ એની સાથે લીલા કરી. ધનબાઈનું મન ઘૃણાથી ભરાઈ ગયું- તે એવું કે સ્તનમાંથી ધાવણ સુકાઈ ગયું ને દીકરી ભૂખની મારી વલવલી રહી.
        તે સાંજે ધનબાઈ બહારથી દૂધ લાવીને છોકરીનો પાવા બેઠાં તો પતિનો મિજાજ સાતમા આસમાને પહોંચ્યો : આટલી નાની છોકરીને બહારનું દૂધ અપાય ? શરમ નથી આવતી ?
        શરમ કોને આવવી જોઈએ ? પીડા કોને થવી જોઈએ ? પાપ ક્યાં હતું ? પુણ્ય ક્યાં હતું ? ધર્મ શો હતો ? કોણે કોને ઉપદેશ આપવાનો હતો ? સુધરવાનું કોને હતું ? કશી જ સીધી ગતિ નહોતી. બધી જ ગતિ વિપરીત હતી.
        જેમને ત્યાં એ લોકો રહેતાં હતાં એ કાકા-કાકી (પતિનાં) પણ એક વાર કંટાળી ગયાં. એમને ધનબાઈની દયા આવી ગઈ. બોલ્યા : હીરજી, તું અત્યારે ને અત્યારે પહેરેલ કપડે ચાલ્યો જા.
        હીરજીભાઈ ગયા તો ખરા, પહેરેલ કપડે જ નીકળી ગયા, પણ ક્યાં ગયાં ?
        ધનબાઈના બાપને ઘેર. કાકાએ કાઢી મૂક્યા એટલે ધનબાઈના પતિ હીરજીભાઈ સાસરે આવ્યા. થોડા જ દિવસમાં બાપાએ પત્ર લખ્યો. જમાઈ અહીં આવ્યા છે. તું અહીં આવીને રહે. ધનબાઈના પિતા જમાઈનાં કરતૂતો જાણે, છતાં શું થાય ? દીકરીનો ધણી, એટલે, એટલા ખાતર ઘરમાં એમને સમાવી લીધા. અને પછી દીકરીને બોલાવી લીધી.
        આમ પીડાના પર્યાય જેવો જમાઈ છાતી પર આવ્યો. માન્યું કે ઘરજમાઈ થઈને  જરા દાબ્યો-દૂબ્યો રહેશે. પણ હીરજીભાઈના મગજનું યંત્ર હંમેશાં અવળી દિશામાં ફરતું હતું. લઘુતાગ્રંથિ પીડવા માંડી એટલે પત્ની પર પસ્તાળ વધવા માંડી. અને ક્યારેક તો ધનબાઈ હોય ત્યાં ને ત્યાં જ જીભ કરડીને મરી જાય એવી એમની વિકારી હરકતો દિન-બ-દિન વકરવા માંડી.
        એવામાં એક મહેમાન ઘેર આવ્યા. બાજુમાં ઉમનદેવ ગામે સૌએ ફરવા જવું એમ નક્કી કર્યું. ત્યાં ગૌમુખમાંથી ગરમ પાણી આવતું હતું અને ગરમ પાણીના કુંડ હતા. પાણી એવું ગરમ કે તપેલીમાં એ પાણી લઈને ચોખા નાખી ઢાંકી રાખો તો થોડીવારમાં ભાત તૈયાર થઈ જાય. સેવ નાંખો તો સેવ ઓસવાઈ જાય.
        અને ધનબાઈએ એક ખતરનાક નિર્ણય કર્યો. નાનકડી દીકરી ગળે વળગેલી હતી. તેને નમાઈ બનાવવા માટે જીવને બહુ કાઠો કરવો પડ્યો. એને માટે પંદર મિનિટ આંખો બંધ કરીને જાણે કે સમાધિમાં જ ઊતરી ગયાં. ને આત્મઘાતના નિર્ણયને આત્મબળથી સીંચી લીધો. બસ, પછી બીજી જ પળે દીકરીને કુંડને કાંઠેથી સલામત અંતરે દૂર ઢબૂરીને દોડીને ફળફળતા ગરમ પાણીમાં ભૂસકો માર્યો. પણ બીજી જ પળે જાણે કે ચમત્કાર થયો. એક પૂજારીનું ધ્યાન પડ્યું. પાછળ દોડી, ભૂસકો મારીને ધનબાઈને હાથ પકડીને બહાર કાઢી લીધાં.
        શું થયું બહેન ? એણે પૂછ્યું : આવી મૂર્ખાઈ કેમ કરી ?
        ભાઈ, ધનબાઈ બોલ્યાં : કુંડ પર બેસીને નહાતી હતી, ને પગ લપસી પડ્યો.
        બહેન, પૂજારી બોલ્યો : હું જાણું છું કે તારી વાત સાચી નથી. પણ બહેન, એટલો વિચાર કર. તારાં આ દુઃખો શા માટે છે ? પછી જાતે જ એણે જવાબ આપ્યો : એ તારા બે ભવનાં કર્મોને એક ભવમાં ખપાવવા માટે છે. માટે એનાથી ડરીશ તો કેમ ચાલશે ? જે માથે પડે છે, તે મૂંગે મોઢે સહન કર્યે જા.
        એક આ ગુરુમંત્ર મળ્યો તેથી ધનબાઈ જીવી તો ગયાં, પણ તે પછીની એમની વ્યથા-કથા બહુ લાંબી છે. બેચાર ફકરામાં તેને સમેટી ન શક્યા, પણ માત્ર રૂપરેખા જાણવી હોય તો એટલું કહી શકાય કે એ પછી ધનબાઈ સખત બીમાર પડ્યાં. ઓગણીસ માસ દવા એમના પિતાએ કરાવી, અને જરા પણ પોસાણ ન હોવા છતાં હજારોનું પાણી કર્યું. આ દરમ્યાન જમાઈની અળવીતરાઈ ચાલુ રહી. સસરા-જમાઈ વચ્ચેનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો. અને એક વાર એમને પિતાએ કહી જ દેવું પડ્યું : ઘર છોડીને ચાલ્યા જાઓ, નહીંતર ધક્કા મારીને કાઢવા પડશે.
        હીરજી ઘર છોડવાની તૈયારી કરવા માંડ્યા, ત્યારે પિતાની ભારે નવાઈ વચ્ચે ધનબાઈ પણ એમની સાથે જવાનું પરિયાણ કરવા માંડ્યાં. પિતાએ જરા ગુસ્સે થઈને કહ્યું : કોઈની પણ સલાહ માન્યા વગર આની સાથે તને પરણાવવાની એક મોટી ભૂલ તો અગાઉ મેં કરી છે અને એની સાથે જવાની બીજી ભૂલ હવે તું કરી રહી છે ? તું અહીં રહે. હું તને ભણાવીને પગભર બનાવીશ.
        ધનબાઈએ કહ્યું : બાપુજી, હવે તમે મને શું ભણાવશો ? એ વખત તો વીતી ગયો. હવે તો મારી દીકરી પણ લગભગ પરણાવવા જેવડી થઈ ગઈ. સુખના હોય કે દુઃખના દહાડા તો વીત્યે જ જાય છે. મારે તો એમની સાથે જવું જ છે. તમે એમ માની લેજો કે તમારી દીકરી મરી ગઈ છે. તમે મારી ચિંતા જ સાવ છોડી દેજો. મારું જ્યારે કોઈ જ નહીં હોય, ત્યારે ઈશ્વર મારી સંભાળ લેશે. તમે માત્ર મને આશીર્વાદ આપો કે મારું કલ્યાણ થાય.
        પિતા કશું બોલી શક્યા નહીં.
        પતિ-પત્ની ચાલી નીકળ્યાં. મહિનાઓ સુધી નાના જેઠ, મોટા જેઠ અને કાકાજીને ત્યાં ઠેબાં ખાતાં રહ્યાં. આશરો લેતાં રહ્યાં પણ હીરજીભાઈના સ્વભાવના કારણે ક્યાંય ટકી શક્યાં નહીં. નોકરી-ધંધો તો હતો નહીં. જે દરદાગીનો, ઘરવખરી હતી તે વેચી-સાટીને દિવસો રોડવતાં રહ્યાં. માત્ર દસ તોલું સોનું વધ્યું. એ પણ છેલ્લે છેલ્લે વપરાઈ ન જાય તે માટે ધનબાઈના પિતાના એક મિત્રને ત્યાં સાચવવા મૂકી આવ્યાં. માત્ર સોનાની બે બંગડી જ પહેરવા માટે રાખી. દરમિયાન દીકરીને જેમ તેમ કરીને પરણાવી દીધી હતી.
        પણ અંતે એક દિવસ એ પણ પાછા લઈ આવવા પડ્યા. વળી થોડા માસ કાઢ્યા. ને પણ એક દિવસ....
        અનાજ પણ ખૂટી પડ્યું. શું કરવું ? એટલે સસરાને ઘેર આશરો લેનાર હીરજીભાઈએ જમાઈને ઘેર આશરો લેવાનું નક્કી કર્યું. તે જમાઈને ત્યાં આશરો લેવા ચાલ્યા ! કરાંચી ગયા. ને ઓરડીમાં જમાઈની સાથે રહ્યાં ને ત્યાં વિચિત્ર-વિકારી-વિપરીત-તામસી સ્વભાવના હીરજીભાઈના અનિયમિત, અતિશય ખાનપાનથી તબિયત એવી તો બગડી કે સંગ્રહણીનો વ્યાધિ લાગુ પડ્યો, ને તે એવો કે તમામ ગંદકી ઓરડીમાં જ કરવી પડે, કારણ કે ચાલીના પાયખાના સુધી કેવી રીતે પહોંચાય ? જુગુપ્સાપ્રેરક વાતાવરણમાં મા-દીકરી એક તરફ રસોઈ બનાવે, એક તરફ ગંદકીની બદબૂથી ઓરડી ગંધાતી હોય. સારવાર કરવા માટે મુંબઈ લઈ ગયા. ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કર્યા અને દિવસો સુધી સારવાર કરી. ખિસ્સું સાવ ખાલી થઈ ગયું. અને એક દિવસ દવાખાનાનું છેલ્લું પચાસ રૂપિયાનું બિલ ચૂકવવાનો પણ વેત ન રહ્યો. ત્યારે, એ રાતે ધનબાઈ પાર્શ્વનાથની છબી પાસે ચોધાર આંસુએ રડ્યાં. કહ્યું : હવે તો તું હાથ ઝાલ. શું હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી અગ્નિપરીક્ષા કર્યે રાખવી છે ? મેં આપઘાત નહીં કરવાની તે દહાડે ગરમ પાણીના કુંડ પાસેથી જ બાધા રાખી છે, તો હવે આ બાધા હું તોડું એમ તું ઇચ્છે છે ?
        પ્રાર્થના હતી એમાં કલ્પાંત ભળ્યું અને એ બન્નેના મિશ્રણથી કોણ જાણે શું થયું, ઊંઘ આવી ગઈ. સવાર ક્યારે પડી તેની સૂધ ના રહી.
        સવારે આકસ્મિકતા ગણો કે ચમત્કાર એવી ઘટના બવી. હીરજીભાઈ જ્યાં ભાંગીતૂટી નોકરી કરતા હતા એ પેઢીના શેઠ આવ્યા ને આગ્રહ કરીને ત્રણસો રૂપિયા આપી ગયા. દવાખાનાનું દેવું ચૂકવાયું અને માટુંગામાં ભીંવડીવાલા બિલ્ડિંગમાં બીજે માળે માસિક રૂપિયા ઓગણીસમાં ભાડાની ઓરડીમાં રહેવા ગયાં.
        એ દિવસથી દુઃખનો અંત તો એકાએક ન આવી ગયો, પણ ક્ષિતિજ પર સારા દિવસોની એંધાણી પ્રગટી.

        કઈ રીતે ?

(ક્રમશ:) 
(તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.) 

Friday, July 10, 2015

જૂઠ કો જૂઠ કા નામ ન દો, બસ, સત્ય કા સુનહરા ઈક રંગ દે દો..!

આપ તો રિસર્ચનું રજવાડું છો ,મિંયાસાહેબ! હજુ આમાં થોડું ઉમેરી આપો. ટાગોરના ભાષણના આપે શોધીને આ લેખમાં ટાંકેલા અસલ શબ્દોમાં થોડા વધુ ફીટ કરી આપો.અસ્સલ જેવા જ ..હોં !

“કેમ એવી જરૂર પડી ?”

“છેલ્લે પટ્ટીમાં જાહેરખબર આપનારી પાર્ટી પરમ દિ ગુજરી ગઈ. એના છોકરે કીધું કે એમાં એના બેસણાની નોંધ મફત છાપો. મેં કીધું આગલા બિલના સવા બસેં બાકી છે ત્યાં લગી નામ લઇશ મા. સોદો ના પટ્યો. હવે એ જગ્યા તો ભરવી ને ? મને થયું કે પેલા ઉઠી ગયેલા ઉઠીયાણના ઉઠમણાની નોંધ મફત છાપવા કરતા ગાંધીબાપુના બેસણાની નોંધ મતલબ કે એ કાળે ટાગોરબાપુ બોલેલ એના બે વધુ વેણ કેમ ના છાપવા ? લ્યો. એટલે આ તમને કહ્યું.”

પણ બચુભાઇ, ટાગોરના તો બસ આટલા જ સેન્ટન્સીસ છે. મારાથી એમાં ફૂલ પોઇન્ટ પણ ના ઉગાડાય. વાચકોના વિશ્વાસનો ભંગ થાય એવું કદી ના કરાય. એ દ્રોહ કહેવાય, અસત્ય કહેવાય. આપે લીધેલા મારા ઈન્ટરવ્યુમાં ના વાચ્યું? હું અસત્યનો તો હાડોહાડ વિરોધી છું, પ્રાણાંતે પણ સત્યને છોડું નહીં, ના વાંચ્યું ? ના વાંચ્યું?”

બાપુના મૃત્યુ વખતે
ટાગોર બોલ્યા હતા કે.. 
બચુભાઇ બુમરાણીયાને બે વાર “ના વાંચ્યું ?” લમણામાં વાગ્યું. એ યાદ કરવું ના પડે. કેમ ? અરે, એમણે તો મિયાં હઝૂરનો ઈન્ટરવ્યુ એમની સાલગ્રેહના દિવસે પોતાના ચાર દિનીયા અર્ધ સાપ્તાહિકમાં છાપ્યો હતો, જેમાં ઈન્ટરવ્યુના માલ કરતાં બમણી જગ્યા મિયાં હઝૂર સાથેના તંત્રી બચુભાઈના ઘેઘુરવાળવાળા ફોટાને માટે સદુપયોગાઈ હતી. એ જીગરજાન જેવા સંયુક્ત ફોટામાં મિયાંસાહેબનો ચહેરો માથેથી જરા લાઇનદોરીની કપાતમાં ચાલ્યો ગયો હતો. બસ, થોડોક જ વઢાઈ ગયો હતો. (પ્રોસેસરની ગલતી !) જ્યારે બચુભાઈનો ફોટો એક પણ છરકા વગરનો, પણ કપાળ પર ધસી આવેલા ઘેઘૂરબાલ અને ડબલ ડાબલા જેવા સનગ્લાસ સુંદર સિકલની અર્ધા ઉપરાંતની જગ્યાને જમી ગયા હતા. એટલે નીચે ફોટોલાઈનમાં ઓળખાણ દેવા કોઈ મનુષ્યજીવનું મુદ્દામ નામ આપવું જરૂરી બન્યું હતું. નહીં તો ગેરસમજ થવાનો સંભવ હતો. ફોટોગ્રાફ સિવાયની ટેબ્લોઈડ પેજની ડેકોરેટીવ બૉર્ડરને બાદ કરતાં જેટલી જગ્યા વધિયાણ  હતી તેમાંથી  બે તૃતિયાંશ સ્પેસ તો એકલા બચુભાઈના સવાલોએ રોકી હતી, જે ચૌદ પોઈન્ટના બોલ્ડ ટાઇપમાં લીધા હતા. બાકીની જગ્યોમાં,પેરેગ્રાફિક સ્પેસ છોડતા મિયાં હઝૂરના જવાબો માત્ર દસ પોઈન્ટના ફોન્ટમાં લીધા હતા. કુલ જમલે સાડી ચાર સવાલ-જવાબો  હતા. ચાર પર એક અડધો એટલા માટે કહેવાય કે એમાં માત્ર ગણીને એક જ શબ્દ બચુભાઈના મોઢે હતો તે આભાર’, કે જેને મિયાં સાહેબના જવાબ તરીકે પણ કૉપી પેસ્ટ કરવામાં આવ્યો હતો. એ દિવસે વળી ગાંધીનિર્વાણ દિન હતો એટલે સવાલોમાં શ્રેષ્ઠ સવાલ હતો આપ જિંદગીમાં ક્યારેય જૂઠું બોલો છો?’ જેના જવાબમાં મિયાં સાહેબે બેધડક કહ્યું હતું, “ક્યારેય નહીં !” આ જવાબ મોટાભાગના ઘરાકો માટે (બચુભાઈ અર્ધો દિવસ કરિયાણાની દૂકાને બેસતા હતા એટલે વાચકોને બદલે ઘરાકો બોલવાનું વધારે ફાવતું હતું.) એટલો પ્રેરણાદાયી હતો કે એકાદા સવાલ-જવાબને ખેડવીને પણ એને હેડલાઈન તરીકે ઝડપી લેવામાં આવ્યો હતો. અને એ આખા વાક્ય જિંદગીમાં કદી જૂઠ્ઠું બોલતો નથીને સોળ નંબરના ફોન્ટને માટે એલિજીબલ ગણવામાં આવ્યું હતું. હા, સત્યને સોળ નંબરના ફોન્ટથી ઓછું ના ખપે.
ને આજે વળી આ જ બચુભાઈ મિયાંસાહેબને અસત્યનું આચરણ કરવા પ્ર્રેરતા હતા. ગાંધીજીના અવસાનના સમાચાર જાણીને કવિવર ટાગોરે જે શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, તેમાં થોડા શબ્દોના ઇજાફો મતલબ કે ઉમેરો કરી દેવાનું કહેતા હતા !! લાહૌલબિલાકુવ્વત ! અરે, કવિવર હયાત હોત તો એમને પોતાને તો એમની સગી થાય એવી શર્મિલા ટાગોરના છેડા અડાડીને એ માટે પલાળી શકાત, પણ હવે જ્યારે એઓ દિવંગત છે ત્યારે તો આપણે લા-ઈલાજ જ ને?

બચુભાઈ નિરાશ થયા, પણ ખોટા નિરાશ  થયા કહેવાય. જેઓ કદી જૂઠું બોલતા નથી એવા બિચારા ડૉ મિયાં હઝુરને એમણે અસત્યનું આચરણ કરવાનું ના કહેવું  જોઇએ. મિયાં હઝુરે ખૂબ મહેનતને અંતે સંશોધી કાઢેલા એ વખતના કવિવર ટાગોરના જેટલા વાક્યો પોતાના લેખમાં ટાંક્યા હતા એટલા શબ્દોથી એમણે રોડવી  લેવું જોઇએ. કેવા સરસ શબ્દોથી ટાગોરે ગાંધીજીના અવસાન પર પ્રતિક્રિયા આપી હતી! એમણે તો મૃત્યુના વિશાળ પાત્રમાં પોતાનું પ્રાયશ્ચિત આપણી સામે ધરી દીધું છે. અને.....”
પણ પ્રેસમાં આ મેટરની જેવી ડેટા એન્ટ્રી થઈ કે તરત ઉપતંત્રી-કમ- હેડ પીઓન બંગાળીબાબુ શંભુ સત્સંગી બચુભાઈ પાસે દોડતા આવ્યા,”‘અરે,અરે, વ્હાટ ઇઝ ધીસ ?  મેં ટાગોર મોશાયનું ઘણું બધું વાચ્યું છે, બોચુભાઈ. મને બધી ખબર છે. અરે એમણે તો ગાંધીજી સાથેની મુલાકાત વખતે એમને એક ભોજન પણ સંભળાવેલું તેની પણ મને ..

ભૂલ સુધારો, શંભુજી.  બચુભાઇ ધુંધવાયેલા તો હતા જ, પણ હવે ચિડાયા, તમને હજુ ગુજરાતી નથી આવડ્યું. ભોજન સંભળાવ્યું ના કહેવાય, ભોજન કરાવ્યું એમ કહેવાય. એ ભોજનમાં તળેલી પુરીઓ હતી તે બી મને ખબર છે. ગાંધીજી ગરમ, ના ગરમ નહીં, ગાંધી ગરમ ના થાય, ગંભીર થઈ ગયેલા. કહે, તેલ ધીમું ઝેર છે. ના ખવાય. એનાથી દૂર રહો. તો ટાગોર કહે, હશે,પણ એ ધીમું ઝેર હું તો પચાસ વર્ષથી પેટમાં ઓરું છું પણ, જુઓ ને આ લાલ બુંદ જેવો છું અને તમે...

શંભુબાબુ આકળા થઈ ગયા. બોસને ગાળ પ્રગટપણે તો ના આપી શક્યા પણ વિકલ્પે જે કાંઈ કરી શકાતું હતું તે કરી લીધું અને એટલેથી ટાઢક પામ્યા. બોલ્યા : હું એ ભોજન નહીં, ભોજનની વાત કરું, ભોજન..ભોજન...ભોજન...ડીવોશનલ સોંગ ! ભોજન....

ઓહ, મટલબ કે ભજન, ભજન. બચુભાઈ ટાઢા પડ્યા, પણ શંભુબાબુ એમાં ઉચ્ચાર કેમ સાવ ખોટો કરો છો? મોઢામાં સોપારી મૂકી છે ? નીકળી જવાની બીક લાગે છે ? એટલે સાચવીને બોલો છો ?’
બિચારા શંભુબાબુ ધોતીયાનો છેડો કફનીના ખિસ્સામાં ભરાવીને પોતાના ડેસ્ક ભણી ધસી ગયા.
પણ સવારે જ્યાં વાચકગણના અભિનંદનોની વર્ષા થવાની હતી ત્યાં તો તડાફડી શરુ થઈ. મિયાં હઝૂરને પી એચ ડીની ડિગ્રી કોણે આપી? એની ડિગ્રી ચેક કરો. એની કોલમની દુકાનને કાયમી તાળાં મારો.  આવા એક નહીં, અનેક ફોન આવ્યા, જેમાં કાનમાંથી કીડા ખરે જેવા પણ વેણ હતા, જે અધ્યાહારમાં સાંભળી શકાતા હતા,
“કેમ, કેમ વાચક રાજ્જાઓ અને રાણીઓ, કેમ એમ બોલો છો ?’

અરે, શું હાંકે રાખે છે તમારો મિયાં હઝૂર ? લખનારો તો મૂરખ, પણ તમે છાપનારા તો એના ય ગબ્બર? શું વાચકોને પ્ણ મૂરખ સમજો છો ?’
“ અરે હોય કાંઈ? ઘરાકગણ તો અમારા આંખ માથા ઉપર !”
અરે, ટાગોર તો ગયા 1941 ની સાલમાં ને ગાંધીજી તો એ પછી સાત વર્ષે 1948 માં ગયા. તો પૂછો તમારા વિદ્વાન લેખક મિયાં હઝૂરને કે ટાગોરે ગાંધીજીના અવસાન વખતે પ્રતિક્રિયા  કેવી રીતે આપી ? ચિતાની રાખમાંથી ઉભા થઈને આપી ?અને ધારી લો કે તમારા  લેખકને બન્નેના અવસાનની સાલની ખબર નથી માની લીધું, ચલો. અજ્ઞાન માફ છે, પણ એ કારીગરે ટાગોરની પ્રતિક્રિયાના શબ્દો ક્યાંથી કાઢ્યા ?હળાહળ જૂઠ્ઠો !
બાપુના સ્વર્ગપ્રવેશ વેળાએ
ટાગોરનું સ્વાગત પ્રવચન
બચુભાઈ બુમરાણીયાને જ્યારે કાનમાં આવી બુમરાણોએ હાહાકાર મચાવ્યો ત્યારે એ દોડાદોડ મિયાં હઝૂરને ત્યાં પહોંચી ગયા, તો મિયાં ફોન અને મોબાઇલ બન્નેની સ્વિચ ઓફ કરીને નિરાંતે ટીવી જોતા હતા. બચુભાઈને જોતાવેંત બોલ્યા: લાગે છે મારે હવે ડોરબેલને પણ ઓફ–ઓન કરવાની સ્વિચ રાખવી પડશે.’.

આ તો મારું અપમાન થાય છે, હો ! એક તો જૂઠ્ઠું બોલો છો, જૂઠ્ઠું લખો છો, મને સાલવી દો છો, ઘરાકોની પસ્તાળ પડે છે તો મારા પર પડે છે ,.. બચુભાઈએ માંડ સંયમ રાખીને દાંત ભીંસવા પર કાબૂ રાખ્યો: ને તોય તમારા પેટનું પાણીય હલતું નથી. !
શા માટે હલે ?’ મિયાં હઝૂર બોલ્યા: મારા ઈન્ટરવ્યુનું મારું વાક્ય ભૂલી ગયા ? મેં કહેલું કે હું જીંદગીમાં કદી જૂઠું બોલતો નથી. તમે નથી વાંચ્યું ? નથી વાંચ્યું ? શું હું કદી જુઠ બોલું ?’
પણ આ જૂઠ નહીં તો શું જૂઠનો બાપ ? આ ટાગોરમોશાયે ગાંધીબાપુ ગુજરી ગયા ત્યારે આપેલી પ્રતિક્રિયાના બનાવટી શબ્દો તમારું પોતાનું જુઠ્ઠાણું નહીં તો શું છે ? સતની ધજા ?’
એમ જ ! સતની ધજા જ વળી. ટાઢા કોઠે મિયાં હઝૂર બોલ્યા અને જોરથી ઓડકાર ખાધો.
એટલે ?મારે ઘરાકોને શું જવાબ દેવો ?’ બચુભાઇ તપી ગયા : એમ કહેવું કે પ્રતિક્રિયા આપવા પૃથ્વી પર ટાગોરનુ પ્રેત આવ્યું હતું ? એમ કરું તો તો મારું છાપું રોજ દસ કિલો ખપે છે એ પોણા કિલોએ આવીને ઉભું રહે. મારે રોટલા કેમ કાઢવા ?’
દિવસના બે ટાઈમ જમતા હો તો એક ટાઇમ ને તે પણ ઊણું જમવું, પણ સાચું જ કહેવાનું. તમારા છાપાનો મુદ્રાલેખ શું છે ?’

હતો ખરો કાંઈક. સત્ય પર હતું કાંઈક. જેન્‍તિભૈ, જેન્‍તિભૈ જેવું કાંઇક હતું ખરું,‘
“ફાઈન. મુદ્રાલેખને મારો ગોલી. આપણે એટલું રાખો કે ખોટું કાંઈ લખવાનું જ નહીં, અને વખત છે ને આવી જ જાય તો એને સાચું પાડ્યે પાર કરવો. આપણે સત્યને વરેલા છીએ. એમાંય આજ તો ગાંધીહત્યા, સોરી, ગાંધી નિર્વાણદિન. આજ તો બગાસુંય ખોટું ના ખવાય. અરે. કોઈને એક અપશબ્દ કહો એ અપશબ્દમાં પણ સત્યનું બલ પૂરવું પડે.
એમ ?’ બચુભાઇ ચોંકી ગયા. અપશબ્દમાં બી ? એ કઇ રીતે ?’
એ પુરુષાર્થ અને પ્રારબ્ધનો મામલો છે. તમારા માટે અત્યારે એનું ચોઘડિયું નથી.
ઠીક, પણ મારે કાલે સવારે ઉઘડતે પાને ખુલાસો શું છાપવો એ કહો ને? આ ટાગોર અને ગાંધી બેયે ભેળા મળીને મારાં તો લોહીડાં પીધાં ને તમે એને સ્ટ્રો આપી. અરે,પણ હવે તમે એ લોકની સ્ટ્રો છોડાવો. 
  
મૂંઝાઓ મા, બચુમહાશય! હું તમને કહું એમ લખી નાખો. લખી નાખો કે મિયાં હઝૂર પોતે પરાવિજ્ઞાનના  અઠંગ સાધક છે. લોક-પરલોકની માહિતીની ઉપલબ્ધિ એમને માટે સહજ છે. ગુરુદેવ ટાગોરની પ્રસ્તુત પ્રતિક્રિયા એ પણ આ સાધનાનું જ પરિણામ છે. લેખમાં ટાંકેલાં ટાગોરનાં વાક્યો એ ગાંધીજીની એમણે આપેલી મરણાંજલિ નથી, પણ ગાંધીજીના સ્વર્ગપ્રવેશ વેળા ગુરુદેવ ટાગોરે આપેલા સ્વાગતપ્રવચનનો એક નાનકડો અંશ માત્ર છે. લેખકે એ પોતાની આત્મિક શક્તિથી શૂન્યમાંથી  સારવેલો  છે. એ સર્વથા સત્ય છે. અને લખજો કે સંશયાત્મા વિનશ્યતિ.

એટલે ?’
એટલે કે એમાં જેને શંકા હોય એ પડે ઊંડી ખાડમાં ! ને એમાં ના પડવું હોય અને સુખેથી જીવવું હોય એવા વાચકો એને કવિકલ્પના ગણીને . .
“કપિકલ્પના? એ વળી શું ?”

કપિ નહીં, બચુભાઈ. કવિ, કવિ! પણ સારનો સાર એ કે તમારે ઉઘડતા પાને છાપવું કે અમારા લેખક મિયાં હઝૂર જિંદગી ધરીને કદી અસત્ય બોલ્યા નથી, ને એ બોલે તે અસત્ય વચન હોય તો પણ અંતે સાચું થઈને રહે. પછી જરી અકળાઈને બોલ્યા: મેં મારા ઈન્ટરવ્યુમાં નથી કહ્યું કે હું જિંદગીમાં કદી જૂઠું બોલતો નથી? તમે તો એની હેડ લાઈન બનાવેલી. ભૂલી ગયા ? ભૂલી ગયા ? ભૂલી ગયા ?’
બચુભાઈએ માથે હાથ દીધો. અરે, હવે તો એ પોતાનું નામ અને કાર્યાલયનો રસ્તો સુધ્ધાં ભૂલી જવાની અણી પર હતા ! વાહન લઈને આવ્યા હતા કે પગે ચાલતા એ પણ સ્મરણે ચડતું નહોતું. એક જ વાત યાદ રહી ગઈ હતી કે મિયાં હઝૂર કદાપિ જૂઠું બોલતા નથી, જૂઠું બોલતા નથી, કદાપિ જૂઠું બોલતા નથી. કદાપિ....

(નોંધ: તસવીરો નેટ પરથી)